Google search engine
Home Blog Page 3

ગુજરાત : 75 વર્ષીય મહિલા તબીબને ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને 19 કરોડ રૂપિયા પડાવ્યા, કેવી રીતે છેતરપિંડી થઈ?

0

[ad_1]

ફ્રૉડમાં ફસાયાં ગાંધીનગરનાં મહિલા ડૉક્ટર, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, (પ્રતીકાત્મક તસ્વીર)

શું ક્યારેક તમને કે તમારા કોઈ સગાને કોઈ મૅસેજ આવે છે જેમ કે – ‘તમારું નામ ED પાસે છે,’ ‘તમારો મોબાઇલ નંબર આજે જ બંધ થઈ જશે,’ કે પછી ‘તમે એક મોટા ગુનામાં સંડોવાયેલા છો’.

જો આ પ્રકારના મૅસેજ આવ્યા હોય તો ચેતી જજો, કારણ કે હાલમાં જ આ પ્રકારના કૉલ થકી ગાંધીનગરનાં એક સિનિયર તબીબ સાથે 19 કરોડથી વધુ રકમની છેતરપિંડી થઈ છે.

છેતરપિંડી કરનાર લોકોએ આ માટે નકલી લેટરપૅડ, ફોટોશૉપ કરેલાં ડૉક્યુમેન્ટ્સ અને વીડિયો કૉલનો ઉપયોગ કર્યો હતો.

19 કરોડ રૂપિયાથી વધુ પડાવાયા

ગુજરાતના સાયબર ક્રાઇમ વિભાગ પાસે તાજેતરમાં ડિજિટલ અરેસ્ટ થકી ઠગાઈનો એક કેસ સામે આવ્યો છે, જેમાં આશરે 75 વર્ષનાં એક મહિલા તબીબ પાસેથી રૂ.19.24 કરોડથી વધુ રકમ પડાવી લેવામાં આવી છે.

ટેકનોલૉજી અને કેસનો ડર બતાવીને છેતરપિંડી આચરવામાં આવી છે.

જુલાઈ 16, 2025ના રોજ આ મહિલાએ ગાંધીનગરની સાયબર ક્રાઇમ યુનિટ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે માર્ચ 15મીથી તેઓ સતત ‘ડિજિટલ અરેસ્ટ’ હતાં અને ઠગોના એક પછી એક જાળમાં ફસાતાં ગયાં હતાં.

શું થયું આ કેસમાં? શું એક મોટું સાયબર સ્કૅમ બહાર આવ્યું છે?

ફ્રૉડમાં ફસાયાં ગાંધીનગરનાં મહિલા ડૉક્ટર, ગુજરાત, બીબીસી ગુજરાતી, સાયબર સ્કૅમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકારત્મક તસ્વીર

પોલીસે ફરિયાદીની ઓળખ છતી કરી નથી, પરંતુ જાણકારો પ્રમાણે તેઓ ગાંધીનગરનાં એક સિનિયર ડૉક્ટર છે અને તેમની બે દીકરીઓ હાલમાં અમેરિકામાં વસવાટ કરે છે.

છેલ્લા લગભગ ત્રણ મહિનાથી તેમની વિરુદ્ધ પ્રવર્તન નિદેશાલય (ઈડી), FEMA અને PMLA જેવા ખતરનાક કાયદા હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી લેવાની ધમકી આપવામાં આવી રહી હતી. જોકે જ્યાં સુધી તેમને ખબર પડે કે આ તમામ ધમકીઓ ખોટી હતી, ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું, અને તેમના પૈસા જતા રહ્યા હતા.

રાજ્યની સીઆઈડી ક્રાઇમે આપેલી માહિતી પ્રમાણે આ કેસમાં જે લોકોએ ફરિયાદી સાથે છેતરપિંડી કરી છે તેમણે સરકારના અલગ-અલગ હોદ્દા પર કામ કરતા હોવાનો દાવો કર્યો હતો.

જેમ કે એક વ્યક્તિએ પોતાનું નામ જ્યોતિ વિશ્વનાથ જણાવ્યું હતું અને કહ્યું હતું કે તે ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમ્યુનિકેશનમાં કામ કરે છે. મોહનસિંહ નામની એક વ્યક્તિએ પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે ગણાવી હતી, દીપક સૈની અને વેંકટેશ્વર નામની વ્યક્તિઓએ પોતે પબ્લિક પ્રૉસિક્યુટર છે તેવું જણાવ્યું હતું, જ્યારે પવનકુમાર નામની એક વ્યક્તિએ પોતે સરકારી નોટરી ઑફિસર છે તેવી ઓળખ બતાવી હતી.

આ ખોટી ઓળખ આપી આરોપીઓ વૉટ્સઍપ કૉલ, મૅસેજ અને વીડિયો કૉલથી ફરિયાદીને ડરાવી રહ્યા હતા.

ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે કે, એ લોકોએ તેમને કહ્યું હતું કે, “તમારા નામે સ્ટૅન્ડિંગ ઑફેન્સિવ મૅસેજ ફરે છે, અને માટે તેમની સામે FIR થશે તથા તમારો મોબાઇલ બંધ થશે.”

કેવી રીતે કર્યાં તેમને ડિજિટલ અરેસ્ટ

ફ્રૉડમાં ફસાયાં ગાંધીનગરનાં મહિલા ડૉક્ટર, ગુજરાત, બીબીસી ગુજરાતી, સાયબર સ્કૅમ

ઇમેજ સ્રોત, Getty Images

આ વિશે બીબીસી ગુજરાતીએ રાજ્યની સીઆઈડી ક્રાઇમના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ ધર્મેન્દ્ર શર્મા સાથે વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, “આરોપીઓ પાસે માત્ર એક જ હથિયાર હતું અને તે હતું ફરિયાદીનો ડર. આરોપીઓ ફરિયાદીને સતત ડરાવતા રહ્યા હતા, માટે તેમણે પોતાના પરિવારજનો કે મિત્રોને પણ કોઈ વાત ન કરી.”

પોલીસનું માનવું છે કે, “એ ડરને કારણે ફરિયાદી ડિજિટલ અરેસ્ટ થઈ ગયાં હતાં.”

પોલીસ પ્રમાણે, “ફરિયાદીને વધુ ને વધુ ડરાવવા માટે આરોપીઓએ માત્ર મૅસેજ નહીં, ફેક ડૉક્યુમેન્ટ, નકલી નોટિસ અને ફ્રીઝિંગ સર્ટિફિકેટ જેવા સાચા દેખાતા પત્રો, ડિરેક્ટોરેટ ઑફ ઍન્ફોર્સમેન્ટના સિક્કા સાથે મોકલ્યા હતા.”

આરોપીઓએ ફરિયાદીને માનસિક રીતે હતાશ અને તળાવયુક્ત કરી દીધા હતા, માટે તેઓ કોઈની સાથે આ વિશે વાત પણ નહોતાં કરતાં.

પોલીસે આપેલી માહિતી પ્રમાણે, માર્ચ મહિનાથી જુલાઈ મહિના દરમિયાન વારંવાર કૉલ, તેમજ વીડિયો કૉલ કરી તમામ આરોપીઓએ ફરિયાદીના તમામ મોબાઇલ નંબર બંધ થશે તેવું જણાવી તેમના મોબાઇલથી સ્ટેન્ડિંગ ઑફેન્સિવ મૅસેજ જાહેરમાં વારંવાર પોસ્ટ થાય છે, તેમ કહી તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવી પડશે તેમ કહીને તેમનો આધારકાર્ડ નંબર મેળવી લીધો હતો.

આરોપીઓએ તેમની સામે FEMA, PMLA વગેરે જેવા કાયદાઓ હેઠળ તેમની પર ફરિયાદ નોંધવાનું જણાવ્યું હતું.

કેવી રીતે પડાવ્યા રૂપિયા?

ગુજરાત, ગાંધીનગર, ડિજિટલ અરેસ્ટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

સીઆઈડી ક્રાઇમના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ ધર્મેન્દ્ર શર્મા જણાવે છે કે, “આ બધું ડરને કારણે થયું છે. ફરિયાદીએ પોતાની ફરિયાદમાં નોંધ્યું છે કે, આરોપીઓ તેમને કહેતા હતા કે સિવિલ ડ્રેસમાં લોકો તેમની પર નજર રાખી રહ્યા છે, માટે ફરિયાદીએ કોઈને કંઈ જ કહ્યું ન હતું.”

“સૌથી પહેલાં આરોપીઓએ સંપત્તિની માહિતી માગી, પછી એ સંપત્તિને વેચી કે ગિરવી મૂકીને તેની રકમ અલગ-અલગ ખાતાંમાં ટ્રાન્સફર કરવાનું કહ્યું.”

આ માટે તેમણે પોતાની ફિક્સ ડિપૉઝિટ તોડાવી, ઘરના અને લૉકરના સોના પર લોન લીધી, શૅર વેચ્યા, તેમજ પોતાની બચતમાંથી પણ રકમ આપી. માર્ચથી જુલાઈ દરમિયાન ફરિયાદીએ કુલ રૂ. 19,24,41,541ની રકમ આરોપીઓના ખાતા નંબરમાં ટ્રાન્સફર કરી દીધી હતી.

આરોપીઓએ કહ્યું હતું કે તેમની પર ચાલી રહેલી તપાસ જ્યારે પૂરી થશે, ત્યારે આ પૈસા તેમને પાછા મળી જશે.

આ બધું ઇન્ડસઇંડ બૅન્કના મુરલીધર મૅન્યુફેક્ચરિંગ નામના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવાયું. પોલીસે આ અંગે તપાસ કરતા આ ખાતું સુરતના રહેવાસી લાલજી બદલાણિયા નામની વ્યક્તિનું છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બલદાણિયા એ સાયબર ફ્રૉડ સાથે નોઇડાની એક હોટલમાં મુલાકાત કરી હતી, જેમાં તેમના ખાતામાં પૈસા લેવા માટે તેમને કમિશન પેટે રકમ ચૂકવવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું.

તેમના ખાતામાં એક કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. હાલમાં બલદાણિયાની પૂછપરછ ચાલુ છે અને પોલીસનું માનવું છે કે, ટૂંક સમયમાં ગૅંગના બીજા સભ્યોને પણ તેઓ પકડી પાડશે.

કેવી રીતે કામ કરે છે “ડિજિટલ અરેસ્ટ ગૅંગ”

પોલીસ પ્રમાણે આ એક નવું “ટ્રેન્ડિંગ ફ્રૉડ મૉડલ” છે, જેમાં આરોપી પીડિતના સીધા સંપર્કમાં આવ્યા વગર તેમને ડરાવીને માનસિક રીતે કમજોર કરીને, તેમને પોતાની વાત માનવા મજબૂર કરે છે.

શર્માના અનુભવ પ્રમાણે આમ તો આ પ્રકારના ગુનાનો ભોગ લગભગ બધી જ ઉંમરના લોકો બને છે, પરંતુ મોટા ભાગના લોકો 50ની ઉંમર વટાવી ચૂકેલા જોવા મળ્યા છે. તેઓ સ્માર્ટ ફોન સાથે, નવી ટેકનોલૉજી સાથે હજુ સુધી સારી રીતે વાકેફ હોતા નથી, તેમને ખબર નથી હોતી કે ડિજિટલ વર્લ્ડ શું છે. ફોનમાં આવેલી દરેક વાત, મૅસેજ વગેરે પર તેઓ સહેલાઈથી વિશ્વાસ કરી લેતા હોય છે, માટે આ ઉંમરના લોકો સૌથી વધારે ભોગ બને છે.

જો તમારી પર આવો કોઈ મૅસેજ આવે તો તમે શું કરશો?

ફ્રૉડમાં ફસાયાં ગાંધીનગરનાં મહિલા ડૉક્ટર, ગુજરાત, બીબીસી ગુજરાતી, સાયબર સ્કૅમ

ઇમેજ સ્રોત, Getty Images

પોલીસ પ્રમાણે જો કોઈની પર આ પ્રકારનો વૉટ્સઍપ કૉલ આવે અને સામેવાળી વ્યક્તિ કહે કે, ‘ઈડીમાંથી બોલું છું’ તો તેવા કૉલ પર વિશ્વાસ કરવો નહીં.

તેઓ કહે છે, “તેમની પાસે તમારી થોડી ઘણી માહિતી હોય છે અને તે માહિતીને આધારે તેઓ અંધારામાં તીર મારીને તમારાથી બીજી માહિતી, ખાસ તો નાણાકીય માહિતી કઢાવે છે. આરોપીઓ તમારા પર્સનલ ડેટા વિશે વાત કરે. આ રીતે આરોપીઓ એક પછી એક તમારા ધૈર્ય અને દિમાગને કબજામાં લે છે અને તમને ‘ડિજિટલ રીતે નજરકેદ’ કરી દે છે.”

તપાસ અને ધરપકડ: શું છે મોડસ ઑપરેન્ડી?

આ કેસનાં ફરિયાદીએ જ્યારે 19 કરોડ રૂપિયાની રકમ આરોપીઓને ચૂકવી દીધી, ત્યાર બાદ તેમના પર ફોન આવવાના બંધ થઈ ગયા હતા.

શર્મા કહે છે કે, “જ્યાં સુધી ફ્રૉડસ્ટરને ખબર છે કે તમારી પાસે પૈસા છે, ત્યાં સુધી જ તેઓ તમારી પાછળ રહેશે, જ્યારે તમારા પૈસા પૂરા થઈ જશે તો કૉલ બંધ થઈ જશે. આ કેસમાં પણ આવું જ થયું છે.”

જોકે ત્યાર બાદ ફરિયાદીને શંકા થઈ અને તેમણે સાયબર ક્રાઇમની 1930 હૅલ્પલાઇન પર કૉલ કર્યો, ગુજરાત સાયબર ક્રાઇમ સેલે ગુનો નોંધ્યો અને તપાસ હાથ ધરી.

આવું કંઈ થાય તો શું કરવું જોઈએ?

ધર્મેન્દ્ર શર્મા કહે છે કે, “સૌથી પહેલાં તો જો આવું કોઈની સાથે થઈ રહ્યું હોય તો તેમણે પરિવારના સભ્યો કે મિત્રો કે પછી પોલીસ સાથે વાત કરવી જોઈએ. ભોગ બનનાર વ્યક્તિ જ્યાં સુધી કહેશે નહીં, ત્યાં સુધી તેઓ સુરક્ષિત નથી. જો કહેશે, તો તેનો રસ્તો નીકળી શકશે.”

તેમણે જણાવ્યું કે, “ફેક કૉલ્સને બ્લૉક કરવા જોઈએ, કોઈ વૉટ્સઍપ નંબરથી પોલીસ ઑફિસર કે કોઈ પણ સરકારી અધિકારીની ઓળખાણ આપે તો તેને સારી રીતે ચકાસો, સત્તાવાર વેબસાઇટ જોઈને ખાતરી કરવી જોઈએ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

પોર્નસાઇટ પર તમારા ખાનગી ફોટો અને વીડિયો પોસ્ટ કરી દેવાય તો દૂર કરવા શું કરી શકો?

0

[ad_1]

સાયબર ક્રાઈમ, મહિલા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારના વકીલે મદ્રાસ હાઇકોર્ટને 22 જુલાઈએ જણાવ્યું હતું કે ભારત સરકાર પ્રમાણભૂત માર્ગદર્શિકા તૈયાર કરી રહી છે, જેથી પીડિતો તેમના અંગત ફોટોગ્રાફ્સ અને વીડિયોઝ ઑનલાઇન પ્રકાશિત થઈ જાય તો તેમને દૂર કરી શકે.

એક મહિલા વકીલે કેસની સુનાવણી દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો.

એક મહિલા વકીલે કેસ દાખલ કર્યો હતો અને આરોપ મૂક્યો હતો કે તેમના અંગત ફોટોગ્રાફ્સ તેમના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડે 70થી વધુ વેબસાઇટ પર પોસ્ટ કર્યા હતા.

તમારી પરવાનગી વિના તમારા અંગત ફોટોગ્રાફ્સ કોઈ વ્યક્તિ વેબસાઇટ પર પોસ્ટ કરે તો તમારે શું કરવું જોઈએ? તેને કઈ રીતે હઠાવી શકાય? આવો આ સવાલના જવાબ મેળવીએ.

પૂર્વ પ્રેમીએ વીડિયો પોસ્ટ કર્યા

ચેન્નાઈનાં એક મહિલા વકીલે ગયા જાન્યુઆરીમાં સાયબર ક્રાઇમ વિભાગમાં એક ફરિયાદ નોંધાવી હતી.

મહિલા વકીલે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે “હું કૉલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે એક યુવકને પ્રેમ કરતી હતી. અમે સાથે હતાં ત્યારે તેણે મારા ફોટોગ્રાફ્સ તથા વીડિયો લીધા હતા. હાલ એ યુવાન સાથે મારે કોઈ સંબંધ નથી. તેણે મારા અંગત વીડિયોઝ 70થી વધુ વેબસાઇટ પર પોસ્ટ કર્યા છે.”

ફરિયાદી મહિલાએ એવું પણ જણાવ્યું હતું કે તેઓ બહુ પરેશાન છે અને અંગત વીડિયોઝે વેબસાઇટ્સ પરથી તત્કાળ હઠાવી દેવા જોઈએ.

ફરિયાદીના વકીલ અબુદુકુમારે કહ્યું હતું, “પીડિતાએ સાયબર ક્રાઇમ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે. તેના આધારે એફઆઈઆર નોંધવામાં આવી. જોકે, પોલીસે વીડિયો ફૂટેજ હઠાવવા માટે કોઈ કાર્યવાહી કરી નથી.”

તેમણે બીબીસીને કહ્યું હતું, “એ સામગ્રીને એનસીઆઈઆઈ (બિન-સહમતીપૂર્ણ અંગત ફોટોગ્રાફ્સ) તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. અમે મદ્રાસ હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો છે અને એ સામગ્રી દૂર કરવાનો આદેશ આપવા કેન્દ્ર સરકાર સમક્ષ માગ કરી છે.”

આ કેસ ન્યાયમૂર્તિ આનંદ વેંકટેશ સમક્ષ સુનાવણી માટે નવમી જુલાઈએ આવ્યો હતો. એ પછી ન્યાયમૂર્તિએ કેન્દ્રના ઇન્ફોર્મેશન ટેકનોલૉજી અને પ્રસારણ મંત્રાલયને મહિલા વકીલના વીડિયોઝ તથા ફોટોગ્રાફ્સ 48 કલાકમાં દૂર કરવાનો આદેશ આપ્યો હતો.

હાઇકોર્ટે તામિલનાડુના પોલીસ મહાનિદેશકને આદેશ આપ્યો છે કે તેઓ આવા મામલે પોલીસ કર્મચારીઓમાં જાગૃતિ લાવવા માટે પગલાં લે.

કેન્દ્ર સરકારને વિગતે રિપોર્ટ રજૂ કરવા આદેશ કરાયો હતો

સાયબર ક્રાઈમ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ન્યાયમૂર્તિ આનંદ વેંકટેશ જણાવ્યું હતું કે તેઓ આ કિસ્સામાં મદદ કરી શક્યા, કારણ કે ફરિયાદી એક મહિલા વકીલ છે. આ રીતે લડી ન શકે તેમ હોય તેવા લોકોની દુર્દશાની કલ્પના હું કરી શકતો નથી.

ન્યાયમૂર્તિ આનંદ વેંકટેશે કહ્યું હતું, “તમામ નાગરિકોના સન્માનપૂર્વક જીવવાના મૌલિક અધિકારનું રક્ષણ કરવું તે સરકાર અને અદાલતોની જવાબદારી છે.”

આ સંદર્ભે 14 જુલાઈ સુધીમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ અદાલતે કેન્દ્ર સરકારને આપ્યો હતો.

આ મામલે ફરી સુનાવણી થઈ ત્યારે કેન્દ્ર સરકાર તરફથી વકીલ કુમારગુરુ ઉપસ્થિત થયા હતા. તેમણે અદાલતને જણાવ્યું હતું કે વીડિયોઝ બ્લૉક કરવા માટે તમામ પગલાં લેવામાં આવ્યાં છે.

જોકે, વરિષ્ઠ વકીલ અબુદુકુમારે સરકારની દલીલને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું, “એ વીડિયોઝ હજુ પણ 39 વેબસાઇટ્સ પર પ્રસારિત થઈ રહ્યા છે. તેને રોકવાનાં પગલાં કેન્દ્ર સરકારે લેવાં જોઈએ.”

આ મામલાની નોંધ લેતાં ન્યાયમૂર્તિ આનંદ વેંકટેશે આદેશ આપ્યો હતો કે “અંગત વીડિયોઝ હઠાવવા માટેની ફરિયાદ ક્યાં કરવી જોઈએ અને આવી ફરિયાદ મળ્યા પછી શું કાર્યવાહી થવી જોઈએ, ” એ મુદ્દે કેન્દ્ર સરકાર વિગતવાર રિપોર્ટ રજૂ કરે.

આ મામલે 22 જુલાઈએ ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

સાયબર નિષ્ણાતો શું કહે છે?

પીડિતાના વકીલ અબુદુકુમારે અદાલતને કહ્યું હતું, “હાલ છ વેબસાઇટ પર પીડિતાના અંગત વીડિયો અને ફોટોગ્રાફ્સ છે. તેને હઠાવવાનો આદેશ આપવો જોઈએ.”

કેન્દ્ર સરકાર તરફથી અદાલત સમક્ષ રજૂ થયેલા વકીલ કુમારગુરુએ જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમની શિકાર બનેલી મહિલાઓ તેમના અંગત વીડિયોઝ તથા ફોટોગ્રાફ્સ જાતે જ હઠાવી શકે એ માટેની પ્રમાણભૂત ગાઇડલાઇન્સ કેન્દ્ર સરકાર તૈયાર કરી રહી છે.

એ પછી પ્રસ્તુત કેસની સુનાવણી પાંચમી ઑગસ્ટ સુધી મોકૂફ રાખવામાં આવી હતી. તેથી ગાઇડલાઇન્સ દાખલ કરવાની પરવાનગી મળી ગઈ હતી.

વેબસાઇટ્સ પર અશ્લીલ ફોટોગ્રાફ્સ પ્રકાશિત થતા હોય તો તત્કાળ શું કાર્યવાહી થવી જોઈએ, એ બાબતે બીબીસીએ સાયબર નિષ્ણાત અને વકીલ કાર્તિકેયન સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું, “સોશિયલ મીડિયા દેખીતી રીતે નગ્ન ફોટોગ્રાફ્સનો સ્વીકાર કરતું નથી. આવા પ્લૅટફૉર્મ્સ પર ફરિયાદ નિવારણ કેન્દ્ર પણ હોય છે. તેમાં ફરિયાદ કરવામાં આવે તો તરત કાર્યવાહી કરવામાં આવે છે. ફરિયાદ નિવારણ કેન્દ્રનો ફોન દ્વારા સીધો સંપર્ક કરી શકાતો નથી. ફરિયાદ કરવી જરૂરી હોય છે.”

તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે 2021માં સોશિયલ મીડિયા સંબંધે ગાઇડલાઇન્સ બનાવી હતી. તેનો અમલ ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ ઍન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ રૂલ્સ – 2021 નામે કરવામાં આવી રહ્યો છે.

1930: સાયબર ક્રાઇમની ફરિયાદ કરવાની વ્યવસ્થા

સાઈબર ક્રાઈમ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે આ નિયમો ઇન્ફોર્મેશન ટેકનોલૉજી ઍક્ટ – 2000ની કલમ 87 (1) (2) હેઠળની સત્તા મુજબ બનાવવામાં આવ્યા છે.

કાર્તિકેયને કહ્યું હતું, “આ નિયમો અનુસાર દરેક સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ માટે એક ફરિયાદ નિવારણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પરની સામગ્રી કે વાંધાજનક ફોટોગ્રાફ્સ વિશે ફરિયાદ કરવામાં આવશે તો તેને તત્કાળ દૂર કરવામાં આવશે.”

તેમણે ઉમેર્યું હતું કે “એ ઉપરાંત અંગત ફોટોગ્રાફ્સના પ્રકાશનથી પ્રભાવિત પીડિતો નૅશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર પણ ફરિયાદ કરી શકે છે. તેમણે તેમનું નામ જણાવવું જરૂરી નથી. તેઓ, જે વેબસાઇટ પર અંગત ફોટોગ્રાફ્સ પોસ્ટ કરવામાં આવ્યા હોય તે વેબસાઇટનું સરનામું જણાવીને ફરિયાદ નોંધાવી શકે છે.”

1930 નંબર પર ફોન કરીને પણ સાયબર ક્રાઇમની ફરિયાદ કરવાની વ્યવસ્થા કેન્દ્ર સરકારે કરી છે.

કાર્તિકેયને કહ્યું હતું કે “પોર્નોગ્રાફી વેબસાઇટ્સ પર વીડિયો પ્રકાશિત કરવામાં આવતા હોય તો એ સાઈટ્સના ઈ-મેઈલ એડ્રેસ પર ફરિયાદ કરવાથી તેને તત્કાળ હઠાવી લેવામાં આવશે.”

સાઈબર ક્રાઈમ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કાર્તિકેયને એમ પણ કહ્યું હતું કે “મહિલાઓના વાંધાજનક ફોટોગ્રાફ્સના પ્રકાશનની ફરિયાદ મળે તો તેને 24 કલાકમાં જ હઠાવવા જોઈએ, એવું ભારત સરકારે 2021માં જાહેર કરેલી ગાઇડલાઇન્સમાં જણાવ્યું હતું, પરંતુ તેને હઠાવવામાં આવતા નથી.”

તેમણે કહ્યું હતું કે “તમે સાયબર ક્રાઇમ વિભાગમાં ફરિયાદ નોંધાવો એટલે તે રાષ્ટ્રીય અપરાધ રેકૉર્ડ બ્યૂરો પાસે જાય છે. તેઓ સંબંધિત વેબસાઇટ્સને ઇ-મેઇલ મારફત સૂચિત કરે છે. અલબત્ત, તેમાં થોડા દિવસો થાય છે, પરંતુ તેની પીડિતો પર બહુ મોટી અસર થાય છે.”

ઇ-મેઇલ મારફત ફરિયાદ કરવા છતાં વેબસાઇટ્સ પરથી ફોટોગ્રાફ્સ હઠાવવામાં ન આવે તો તરત પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવવી જોઈએ. આમ કરવાથી તમને સંબંધિત વેબસાઇટ સામે કાર્યવાહી કરવાની તક મળશે.

કાર્તિકેયન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ વિશે પણ જણાવ્યું હતું.

તેમના જણાવ્યા મુજબ, અનેક કંપનીઓ અશ્લીલ ફોટોગ્રાફ્સ અપલોડ થતા રોકવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહી છે. તેને નગ્ન ફોટોગ્રાફ્સ તથા વીડિયો હઠાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

પુરુષ તપાસ અધિકારીની હાજરીમાં તપાસ કરવું વાંધાજનક

એક મહિલા પોલીસ અધિકારીએ બીબીસીને કહ્યું હતું, “તમે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર કોલ કરીને ફરિયાદ કરશો તો અમે તત્કાળ કાર્યવાહી કરીશું. કેટલાક વીડિયોઝ અને ફોટોગ્રાફ્સ હઠાવવા એ કોઈ મોટી વાત નથી.”

તેમણે ઉમેર્યું હતું કે “એવા વીડિયોઝ અને ફોટોગ્રાફ્સ મોટા પ્રમાણમાં હોય તો તે ક્યાંથી આવી રહ્યા છે તે જાણવાનું મુશ્કેલ બની જાય છે. આ માટે પોલીસ વિભાગમાં પૂરતા નિષ્ણાતો નથી.”

ચેન્નઈનાં મહિલા વકીલે ફરિયાદના આધારે નોંધવામાં આવેલી એફઆઈઆરમાં તેમના નામનો ઉલ્લેખ છે.

ન્યાયમૂર્તિ આનંદ વેંકટેશે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે “ફરિયાદી મહિલાનું નામ લેવાનું જ નહીં, પરંતુ આરોપીની ઓળખ માટે સાત પુરુષ અધિકારીઓની હાજરીમાં તપાસ કરવાનું પણ વાંધાજનક છે.”

ન્યાયામૂર્તિએ જણાવ્યું હતું કે પહેલાંથી જ શારીરિક હિંસાનો સામનો કરી ચૂકેલી પીડિતાને આવી ઘટનાઓથી વધારે માનસિક હાનિ થશે. પીડિતાનું નામ દસ્તાવેજોમાંથી તત્કાળ હઠાવવાનો આદેશ તેમણે આપ્યો હતો.

10 વર્ષ સુધી જેલની સજા

સાયબર ક્રાઈમ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

તામિલનાડુના મુખ્ય ક્રીમિનલ પ્રોસિક્યુટર અસન મોહમ્મદ ઝીણાએ જણાવ્યું હતું કે આ કેસમાં મહિલા વકીલનું નામ તમામ દસ્તાવેજોમાંથી દૂર કરવામાં આવ્યું છે.

અબુદુકુમારે કહ્યું હતું કે “માત્ર બાળકો અને મહિલાઓ સામેની હિંસાના કિસ્સાઓમાં જ તેમના નામ એફઆઈઆરમાં ન હોવા જોઈએ, એવું પોલીસ માને છે. અલબત્ત, અદાલતે એવું કહ્યું છે કે આવી ઘટનાઓમાં પણ પીડિતોના નામનો ઉલ્લેખ ન કરવો જોઈએ.”

તેમના જણાવ્યા મુજબ, મહિલા વકીલની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

તેમણે ભારપૂર્વક કહ્યુ હતું કે “પરવાનગી વિના કોઈના પ્રાઇવેટ ફોટોગ્રાફ્સ અપલોડ કરવાથી ઇન્ફોર્મેશન ટેકનોલૉજી કાયદા હેઠળ 10 વર્ષ સુધીની જેલ સજા થઈ શકે છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત

[ad_2]

Source link

કચ્છ: એક ટ્રક ડ્રાઇવર વીસરાતા લોકવાદ્યને કેવી રીતે જીવંત રાખી રહ્યા છે?

0

[ad_1]

વીડિયો કૅપ્શન, મળો કચ્છના એકમાત્ર સુરંદો વાદકને જેઓ ટ્રક ચલાવીને ગુજરાન ચલાવે છે પણ પોતાના વાદ્યને ભૂલ્યાં નથી

કચ્છના ટ્રક ડ્રાઇવર, જે વીસરાતા લોકવાદ્યને કેવી રીતે જીવંત રાખી રહ્યા છે

સુરંદો વાદ્ય બ્લૂચિસ્તાનથી આવેલા જત લોકોનું પરંપરાગત વાદ્ય છે. આ વાદ્યના જાદુગર છે ઓસમાણ જત.

કચ્છમાં સુરંદો વગાડનારા એકમાત્ર કલાકાર ઓસમાણ જત છે. તેમની પાસે જે સુરંદો છે તે દોઢસો વર્ષ જૂનો છે, જે તેમના દાદાનો છે.

પરંપરાગત રીતે તેમના પરિવારમાં સુરંદો વગાડાય છે. સુરંદો બલૂચિસ્તાન-સિંધમાં દાયકાઓથી વગાડાય છે. કચ્છમાં પણ બલૂચિસ્તાનથી જ આવ્યો હોવાની ભાળ મળે છે.

કચ્છમાં ખાસ તો ફકીરાણી જત સમુદાયના લોકો આ વાદ્ય વગાડે છે.

કલા વારસો સંસ્થાના મૅનેજર-ટ્રસ્ટી ભારમલ સંચોટ કહે છે એ પ્રમાણે ફકીરાણી જત સમુદાયના લોકો બલૂચિસ્તાનથી આ વાદ્ય કચ્છમાં લાવ્યા હતા.

ઓસમાણ જત એક ટ્રક ડ્રાઇવર છે. તેઓ ટ્રક ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે, કારણ કે તેમને હવે ઓછા કાર્યક્રમો મળે છે.

તેઓ કહે છે, “મને જો સરકાર કે સંસ્થા મહિને પગાર બાંધી દેતી હોય તો હું ટ્રક છોડીને સુરંદો વગાડું અને બીજાને પણ શીખવાડું.”

કચ્છમાં વીસરાઈ રહેલા વાદ્યને જીવંત રાખતા ઓસમાણ જત સુરંદોના બનાવટ વિશે રસપ્રદ વાત કરે છે. સુરંદો વિશેની અન્ય રસપ્રદ વાતો જાણવા માટે જુઓ આ વીડિયો.

ઓસમાણ જત, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Tejas Vaidya

ઇમેજ કૅપ્શન, ઓસમાણ જત

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

લૉર્ડ મેઘનાદ દેસાઈનું 85 વર્ષની ઉંમરે નિધન, પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી – ન્યૂઝ અપડેટ

0

[ad_1]

બીબીસી ગુજરાતી લૉર્ડ મેઘનાદ દેસાઈ નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લૉર્ડ મેઘનાદ દેસાઈનો જન્મ ગુજરાતમાં થયો હતો

જાણીતા બ્રિટિશ-ભારતીય અર્થશાસ્ત્રી અને હાઉસ ઑફ લૉર્ડ્સના સભ્ય લૉર્ડ મેઘનાદ દેસાઈનું 85 વર્ષની ઉંમરે નિધન થયું છે.

લંડનમાં તેમના પરિવારના નિકટના સૂત્રોએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે આરોગ્યને લગતા કારણોથી ગુરુગ્રામની એક હૉસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લૉર્ડ દેસાઈને શ્રદ્ધાંજલિ આપી છે. વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, “પ્રતિષ્ઠિત વિચારક, લેખક અને અર્થશાસ્ત્રી મેઘનાદ દેસાઈજીના નિધનથી વ્યથિત છું.”

તેમણે કહ્યું કે “તેઓ હંમેશાં ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહ્યા. તેમણે ભારત-બ્રિટનના સંબંધોને મજબૂત બનાવવામાં ભૂમિકા ભજવી. અમારી ચર્ચાઓને હંમેશાં યાદ રાખીશ, જેમાં તેમણે પોતાના બહુમૂલ્ય વિચારો રજૂ કર્યા હતા. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

લૉર્ડ મેઘનાદ દેસાઈનો જન્મ ગુજરાતમાં થયો હતો. તેમણે ભારત અને બ્રિટન વચ્ચે સંબંધોને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે.

પદ્મશ્રીથી સન્માનિત મેઘનાદ દેસાઈ 1965થી 2003 સુધી લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં અર્થશાસ્ત્ર ભણાવતા હતા. 1971માં તેઓ લેબર પાર્ટીમાં જોડાયા અને જૂન 1991માં હાઉસ ઑફ લૉર્ડ્સમાં ગયા.

ત્યાં તેમના સાથી રામી રેન્જરે તેમને સમુદાયના એક સ્થંભ તરીકે ઓળખાવ્યા. દેસાઈએ સંસદ ભવનમાં ગાંધી સ્મારક પ્રતિમા સહિત કેટલાંય કામોમાં મહત્ત્વનું યોગદાન આપ્યું.

રશિયામાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ : અમેરિકા, જાપાન અને રશિયામાં સુનામીની ચેતવણી

રશિયા, સુનામી

ઇમેજ સ્રોત, Getty Images

રશિયાના પૂર્વ કિનારે મંગળવારે 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, તેના કારણે પ્રશાંત મહાસાગરમાં સુનામી આવવાની ચેતવણી આપવામાં આવી છે.

યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ)એ જણાવ્યું કે કમચટકા પ્રાયદ્વિપમાં પેટ્રોપાવલોવ્સ્કથી લગભગ 136 કિલોમીટર પૂર્વમાં 19 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્ર હતું.

સ્થાનિક ગવર્નરે આ ભૂકંપને તાજેતરના દાયકાઓમાં આવેલો સૌથી શક્તિશાળી ભૂકંપ ગણાવ્યો છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી આવ્યા.

યુએસજીએસનું કહેવું છે કે આગામી ત્રણ કલાકમાં રશિયા અને જાપાનના સમુદ્રકિનારે ખતરનાક સુનામીની લહેરો પહોંચી શકે છે. અમેરિકન અધિકારીઓએ અલાસ્કા સહિત અનેક ક્ષેત્રો માટે સુનામીની ચેતવણી જારી કરી છે.

જાપાનની હવામાન એજન્સીએ પણ પ્રશાંત સમુદ્રના કિનારે લગભગ 3.3 ફૂટ ઊંચી સુનામીની લહેરો ઉઠવાની ચેતવણી આપી છે. શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 8.0 હોવાનું જણાવાયું હતું, પરંતુ પછી તેને સુધારીને 8.8 કરવામાં આવી હતી.

યુએસજીએસએ જોખમી વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને સરકારનાં સૂચનોનું પાલન કરવાની સલાહ આપી છે.

પેલેસ્ટાઈનને બ્રિટન માન્યતા આપશે, પરંતુ કેટલીક શરતો રાખી

બીબીસી ગુજરાતી ભૂકંપ રશિયા અમેરિકા ન્યૂઝ અપડેટ ઇઝરાયલ પેલેસ્ટાઈન બ્રિટન

બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે કહ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં યુએનની જનરલ એસેમ્બલીની બેઠકમાં તેઓ પેલેસ્ટાઈનને એક દેશ તરીકે માન્યતા આપશે, પરંતુ આના માટે કેટલીક શરતો રાખી છે.

સ્ટાર્મરે કૅબિનેટ નોટની માહિતી આપતા કહ્યું કે “ઇઝરાયલ સરકાર ગાઝામાં ભયાનક સ્થિતિને ખતમ કરવા માટે નક્કર પગલાં નહીં લે, યુદ્ધ વિરામની જાહેરાત નહીં કરે, ગાઝાના પશ્ચિમી કિનારે તેનો કોઈ કબજો નથી તે સ્પષ્ટ નહીં કરે અને લાંબા સમયની શાંતિ પ્રક્રિયા માટે પ્રતિબદ્ધ નહીં થાય” તો બ્રિટન પેલેસ્ટાઈનને માન્યતા આપશે.

તેમણે કહ્યું કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે કોઈ સમાનતા નથી. બ્રિટનની હમાસ પાસે સ્પષ્ટ માંગણી છે કે તમામ બંધકોને મુક્ત કરવા પડશે, યુદ્ધવિરામ પર હસ્તાક્ષર કરવા પડશે અને ગાઝાની સરકારમાં તે કોઈ ભૂમિકા નહીં ભજવે તથા હથિયારો છોડવા પડશે.

વડા પ્રધાન સ્ટાર્મરે જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અગાઉ એ સુનિશ્ચિત કરવામાં આવશે કે કોઈ પક્ષ પાસે વિટોનો અધિકાર ન હોય. તેથી બંને પક્ષોએ કેટલી હદે શરતો પૂરી કરવામાં આવી છે તેનું આકલન કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

હવામાન સમાચાર : ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, આગામી દિવસોમાં કયા જિલ્લામાં વરસાદની આગાહી છે?

0

[ad_1]

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સુરત અને છોટા ઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ઘણી જગ્યાએ મધ્યમ વરસાદ નોંધાયો છે. કચ્છમાં હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અલગ-અલગ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે, તો કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.

તો હજુ પણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે.

ગુજરાતની આસપાસ વરસાદની કઈ સિસ્ટમ રચાઈ છે?

હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને નજીકના વિસ્તારમાં લૉ પ્રેશર એરિયા રચાયો છે. તેના કારણે સાઇક્લૉનિક સર્ક્યુલેશનની સ્થિતિ પેદા થઈ છે જે સમુદ્રની સપાટીથી 5.8 કિમી ઊંચાઈએ સ્થિત છે.

ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્રથી લઈને સાઉથ બાંગ્લાદેશ સુધી એક ટ્રોફ રચાયો છે જે ગુજરાત પરથી પસાર થાય છે. તેના કારણે મધ્ય પ્રદેશ, ઉત્તર છત્તીસગઢ, ગંગાકિનારાના પશ્ચિમ બંગાળ સુધી સાઇક્લૉનિક સર્ક્યુલેશનનો લૉ પ્રેશર એરિયા રચાયો છે જે સમુદ્રની સપાટીથી 3.1 કિમીની ઊંચાઈ પર છે.

ગુજરાતમાં હવે કયા જિલ્લામાં વરસાદ પડશે?

અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિકલાક રહેશે.

30 જુલાઈએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

31 જુલાઈએ પણ આ તમામ જિલ્લામાં અલગ-અલગ સ્થળે હળવો વરસાદ થવાની શક્યતા છે જે દરમિયાન પવની ઝડપ 30થી 40 કિમી પ્રતિકલાક રહેશે.

પહેલી ઑગસ્ટે ગુજરાતમાં ક્યાંય ભારે કે મધ્યમ વરસાદની આગાહી નથી, પરંતુ કેટલીક જગ્યાએ હળવાં ઝાપટાં પડી શકે છે.

ગુજરાતમાં કયા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ

ઇમેજ સ્રોત, IMD

હવામાન વિભાગના ડેટા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદ ઘણો નબળો પડી ગયો છે. છેલ્લા એક દિવસમાં વલસાડમાં 2.13 ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે ડાંગમાં 1.77 ઈંચ, નવસારીમાં 1.69 ઈંચ, વલસાડના ધરમપુરમાં 1.46 ઈંચ, ડાંગના સુબીરમાં 1.14 ઈંચ, વાપીમાં 0.91 ઈંચ વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત છોટા ઉદેપુરમાં 0.83 ઈંચ, નર્મદાના સાગબારામાં 0.79 ઈંચ, તાપીના સોનગઢમાં 0.75 ઈંચ, વલસાડના પારડીમાં પણ 0.75 ઈંચ વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો છે.

અત્યાર સુધીના આંકડા પ્રમાણે ગુજરાતમાં સિઝનનો સરેરાશ 62.44 ટકા વરસાદ પડી ગયો છે. તેમાં કચ્છમાં 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64 ટકા, સૌરાષ્ટ્રમાં 55 ટકા અને સાઉથ ગુજરાતમાં 65.70 ટકા વરસાદ પડ્યો છે. હાલમાં સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ છે એવું આંકડા દર્શાવે છે.

રાજ્યમાં સિઝન દરમિયાન સરેરાશ 882 મિમી વરસાદ પડતો હોય છે તેની સામે અત્યાર સુધીમાં 550 મિમી વરસાદ પડી ગયો છે.

ગુજરાતનાં જળાશયોમાં કેટલું પાણી છે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ

ઇમેજ સ્રોત, Daxesh Shah

ઇમેજ કૅપ્શન, સતત વરસાદના કારણે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાનો અદલવાડા ડૅમ છલકાયો છે

30 જુલાઈની સ્થિતિ પ્રમાણે ગુજરાતના 207માંથી 30 ડૅમ અત્યાર સુધીમાં છલકાઈ ગયા છે. તેમાં સૌરાષ્ટ્રમાં 141માંથી 17 ડૅમ છલકાયા છે જ્યારે ઉત્તર ગુજરાતમાં 15માંથી એક પણ ડૅમ ભરાયો નથી.

મધ્ય ગુજરાતમાં 17માંથી ચાર, સાઉથ ગુજરાતમાં 13માંથી પાંચ ડૅમ છલકાયા છે. કચ્છમાં 20માંથી ચાર ડૅમ છલકાઈ ગયા છે.

ગુજરાતના સૌથી મોટા ડૅમ સરદાર સરોવરમાં 68 ટકાથી વધારે પાણી ભરાયેલું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

ચીન : વધુ વસ્તી છતાં ત્યાંની સરકાર બાળકો પેદા કરનારને રૂપિયા કેમ આપશે?

0

[ad_1]

ચીન, માતા-પિતા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ચીનમાં જન્મદર વધારવાના હેતુથી રાષ્ટ્રવ્યાપી સબસિડીરૂપે માતાપિતાને તેમના ત્રણ વર્ષથી ઓછી ઉંમરના દરેક બાળક માટે વાર્ષિક 3,600 યુઆન (500 ડૉલર) આપવામાં આવશે.

લગભગ એક દાયકા પહેલા શાસક કૉમ્યુનિસ્ટ પાર્ટીએ તેની વિવાદાસ્પદ એક બાળક નીતિ નાબૂદ કર્યા પછી પણ, દેશનો જન્મદર ઘટી રહ્યો છે.

રાજ્યના મીડિયા અનુસાર, આ સહાય લગભગ 20 મિલિયન પરિવારોને બાળકોના ઉછેરના ખર્ચમાં મદદ કરશે.

ચીનના ઘણા વિસ્તારોએ લોકોને વધુ બાળકોના જન્મ આપવા માટે પ્રોત્સાહિત કર્યા છે અને આર્થિક સહાય શરૂ કરી છે.

કેટલી રકમ આપવામાં આવશે?

ચીન, માતા-પિતા, બાળક, જન્મદર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનમાં ઘટતા જન્મદરને લઈને સરકારે માતા-પિતાને આર્થિક સહાય જાહેર કરી છે

બીજિંગના સ્ટેટ બ્રૉડકાસ્ટર સીસીટીવી પ્રમાણે આ સ્કીમ વર્ષની શરૂઆતમાં લાગુ કરવામાં આવશે. વર્ષ 2022-2024 દરમિયાન બાળકોને જન્મ આપનારા પરિવારોને પણ આ યોજનાનો આંશિક રીતે લાભ મળશે.

આ સ્કીમનો હેતુ ચીનમાં બાળ જન્મદરને વેગ આપવાનો છે.

માર્ચ મહિનામાં ચીનના નૉર્થ હોહોત શહેરમાં ઓછામાં ઓછા ત્રણ બાળક ધરાવતા દંપતીઓને 100,000 યુઆન એક બાળક દીઠ આપવામાં આવે છે.

બીજિંગના ઉત્તરપૂર્વમાં આવેલું શેનયાંગ શહેર, ત્રણ વર્ષથી ઓછી ઉંમરના ત્રીજા બાળક ધરાવતા સ્થાનિક પરિવારોને દર મહિને 500 યુઆન આપે છે.

ગયા અઠવાડિયે, બીજિંગે ફ્રી પ્રીસ્કૂલ ઍજ્યુકેશન માટે પણ સ્થાનિક સરકારને વિનંતી કરી હતી.

ચીનસ્થિત યુવા પૉપ્યુલેશન રિસર્ચ ઇન્સ્ટિટયૂટ પ્રમાણે ચીન દુનિયાના સૌથી મોંઘા દેશમાંનો એક છે, જ્યાં બાળકનો ઉછેર અપેક્ષા કરતાં વધુ મોંઘો છે.

ચીનમાં 17 વર્ષની ઉંમર સુધીના બાળકને ઉછેર કરવાનો ખર્ચ 75,700 ડૉલરનો ખર્ચ આવે છે.

ચીનની વસ્તીમાં ઘટાડો

ચીન, બેઈજીંગ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ચીનમાં 17 વર્ષની ઉંમર સુધીના બાળકને ઉછેરવાનો સરેરાશ ખર્ચ 75,700 ડૉલર થાય છે, એમ અભ્યાસમાં જાણવા મળ્યું છે.

જાન્યુઆરીમાં સત્તાવાર આંકડા દર્શાવે છે કે 2024માં ચીનની વસ્તી સતત ત્રીજા વર્ષે ઘટી છે.

નૅશનલ બ્યૂરો ઑફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, ચીનમાં 2024માં 9.54 મિલિયન બાળકોનો જન્મ થયો હતો.

તેમાં ગયા વર્ષ કરતાં થોડો વધારો થયો હતો, પરંતુ દેશની કુલ વસ્તીમાં ઘટાડો થતો રહ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

રશિયામાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ : અમેરિકા, જાપાન અને રશિયામાં સુનામીની ચેતવણી

0

[ad_1]

જાપાન

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, વર્ષ 2011માં જાપાનમાં આવેલા વિનાશક 9.0ની તીવ્રતાના ભૂકંપ અને સુનામી પછી ફુકુશિમા દાઈચી પ્લાન્ટમાં મોટો પરમાણુ વિસ્ફોટ થયો હતો

રશિયાના પૂર્વ કિનારે મંગળવારે 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, તેના કારણે પ્રશાંત મહાસાગરમાં સુનામી આવવાની ચેતવણી આપવામાં આવી છે.

યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ)એ જણાવ્યું કે કમચટકા પ્રાયદ્વિપમાં પેટ્રોપાવલોવ્સ્કથી લગભગ 136 કિલોમીટર પૂર્વમાં 19 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્ર હતું.

સ્થાનિક ગવર્નરે આ ભૂકંપને તાજેતરના દાયકાઓમાં આવેલો સૌથી શક્તિશાળી ભૂકંપ ગણાવ્યો છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી આવ્યા.

યુએસજીએસનું કહેવું છે કે આગામી ત્રણ કલાકમાં રશિયા અને જાપાનના સમુદ્રકિનારે ખતરનાક સુનામીની લહેરો પહોંચી શકે છે. અમેરિકન અધિકારીઓએ અલાસ્કા સહિત અનેક ક્ષેત્રો માટે સુનામીની ચેતવણી જારી કરી છે.

જાપાનની હવામાન એજન્સીએ પણ પ્રશાંત સમુદ્રના કિનારે લગભગ 3.3 ફૂટ ઊંચી સુનામીની લહેરો ઉઠવાની ચેતવણી આપી છે. શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 8.0 હોવાનું જણાવાયું હતું, પરંતુ પછી તેને સુધારીને 8.8 કરવામાં આવી હતી.

સુનામીની લહેરો જાપાન પહોંચી, વડા પ્રધાન ઇશિબાએ શું કહ્યું?

ભૂકંપ

ઇમેજ સ્રોત, Reuters

જાપાનના સ્થાનિક બ્રૉડકાસ્ટર એનએચકેએ જણાવ્યું છે કે હોક્કાઈડો પ્રાંતના ઉત્તરના વિસ્તારમાં સુનામીની લહેરો પહોંચી ગઈ છે. એક અંદાજ પ્રમાણે લહેરોની ઉંચાઈ લગભગ એક ફૂટ છે.

સુનામીએ હોક્કાઈડોના ઉત્તરક-પૂર્વ વિસ્તારમાં આવેલા શહેર નોમુરોના બંદરને અસર કરી છે. જાપાનના અધિકારીઓએ પહેલેથી ચેતવણી આપી દીધી હતી કે સુનામીની લહેરો વધારે ઊંચી હોઈ શકે છે.

જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબાએ કહ્યું કે અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. કોઈ પણ રાહતકાર્યમાં લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે.

હજુ સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી મળ્યા. વડા પ્રધાને લોકોને સમુદ્રકિનારાથી દૂર જવા અને ઊંચાઈવાળી જગ્યાએ જતા રહેવા અપીલ કરી છે.

જાપાનમાં સુનામીની ચેતવણી પછી ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટ ખાલી કરાવાયો

જાપાનના સમુદ્રમાં સુનામી આવશે તેવી ચેતવણી મળ્યા પછી તાકીદનાં પગલાં લેવાઈ રહ્યાં છે. જાપાનની ટોક્યો ઇલેક્ટ્રિક પાવર કંપનીએ જણાવ્યું કે ફુકુશિમા દાઇચી અને ફુકુશિમા દાઈની ન્યુક્લિયર પ્લાન્ટના કામદારોને સુરક્ષિત કાઢીને ઊંચાં સ્થળો પર લઈ જવાયા છે.

વર્ષ 2011માં જાપાનમાં આવેલા વિનાશક 9.0ની તીવ્રતાના ભૂકંપ અને સુનામી પછી ફુકુશિમા દાઈચી પ્લાન્ટમાં મોટો પરમાણુ વિસ્ફોટ થયો હતો.

ટીઈપીસીઓએ જણાવ્યું કે પ્લાન્ટને કોઈ પ્રકારનું નુકસાન નથી થયું. સુનામીને લગતી ચેતવણી પર નજર રાખવામાં આવી રહી છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં ટીઈપીસીઓએ જાહેરાત કરી કે ઈંધણના કાટમાળને સંપૂર્ણપણે હટાવવામાં 12થી 15 વર્ષનો વિલંબ થઈ શકે છે, જેથી રેડિયેશન લેવલને ઘટાડવા માટે પૂરતો સમય મળી શકે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

ગુજરાત : મશરૂમની ખેતી કરીને લાખોની કમાણી કઈ રીતે કરી શકાય?

0

[ad_1]

મશરૂમની ખેતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસ્વીર

“એક વર્ષમાં હું 1500 કિલોગ્રામ મશરૂમની ખેતી કરું છું. એક કિલોગ્રામ મશરૂમે મને 2300 થી 2500 રૂપિયા મળે છે. એટલે ગયા વર્ષે મને 10 લાખનો નફો થયો હતો.”

આ શબ્દ છે મશરૂમની ખેતી કરતા રવિ રાઘવભાઈનો. રવિભાઈની સુરતમાં મશરૂમ બનાવવાનો એકમ છે. તેમણે દેહરાદૂનથી મશરૂમની ખેતી કરવાની તાલીમ લીધી હતી. ત્યાર બાદ 2019માં સુરતમાં મશરૂમના ઉછેર કરવાનો એકમ બનાવડાવ્યો.

જોકે, મશરૂમ અનેક પ્રકારના હોય. કોઈ મશરૂમ ખાવા માટે ઉપયોગમાં લેવાય છે તો બીજા મશરૂમનો દવા બનાવવા માટે ઉપયોગ થાય. રવિભાઈ દવા બનાવવા માટેના મશરૂમનો ઉછેર કરે છે.

એવી જ રીતે, સુરતના અનિમેષ મિયાની ખાવાલાયક મશરૂમનો ઉછેર કરે છે. તેઓ કહે છે, “મારે વર્ષમાં 15 ટનનું ઉત્પાદન થાય છે. અને એક કિલોગ્રામ મશરૂમનો ભાવ મને 100થી 140 મળે છે.”

મશરૂમ ઉછેરના વ્યવસાયમાં કેટલાય લોકો તગડી કમાણી કરે છે.

મશરૂમ શું છે?

મશરૂમની ખેતી કેવી રીતે થાય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસ્વીર

મશરૂમ ઉછેર વિશે ઊંડાણપૂર્વક સમજવા બીબીસીએ નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર પુષ્પેન્દ્ર સિંહ સાથે વાત કરી.

તેઓ કહે છે કે, “મશરૂમ ન તો છોડ ન તો ઝાડ છે. મશરૂમ ખાઈ શકાય તેવી એક જાતની ફૂગ છે. તેનો વનસ્પતિ કે પ્રાણીકુલમાં સમાવેશ થતો નથી. આ એક ખાસ પ્રકારની ફૂગમાં સમાવેશ થાય છે. તે અન્ય વનસ્પતિની જેમ પોતાનો ખોરાક જાતે બનાવી શકતું નથી, કારણ કે હરિત કણ નથી, તેથી ખોરાક માટે જીવંત કે મૃત સેન્દ્રીય તત્ત્વો પર આધાર રાખે છે.”

તેની ખેતી માટે જમીન કે ખેતરની જરૂરિયાત રહેતી નથી. તેની ખેતી ઘરમાં પણ થઈ શકે છે.

ડૉક્ટર પુષ્પેન્દ્ર કહે છે કે, “મશરૂમ એ વ્યવસાયનો પૂરક વ્યવસાય પણ બની શકે છે કારણ કે તેમાં વધુ સમય અને રોકાણની જરૂર નથી. ગૃહિણીઓ પણ તેને ઉગાડી શકે છે.”

નવસારી કૃષિ યુનિવર્સિટી એ ‘મશરૂમ ઉછેર- એક પરિચય‘ નામક એક પુસ્તક બહાર પાડ્યું છે. તે મુજબ મશરૂમના ઉછેરના માધ્યમ તરીકે ડાંગારની પરાળ, ઘઉંની પરાળ, કઠોળના ફોતરાં, શાકભાજી પાકના ફળ-દાણાં ઉતારી લીધા બાદના અવશેષોનો ઉપયોગ કરી શકાય છે.

મશરૂમ આ માધ્યમમાંથી સૅલ્યૂલોઝ અને અન્ય તત્ત્વોનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે.

મશરૂમનો ઉછેર કેવી રીતે કરવો?

મશરૂમનો ઉછેર

ઇમેજ સ્રોત, Ravi Raghavbhai

નવસારી કૃષિ યુનિવર્સિટીના આ પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે, મશરૂમ ઉગાડવા માટે જે બીજ જોઈએ તેને સ્પૉન કહેવાય છે. એટલે કે અનાજના દાણા જેના પર મશરૂમની ફૂગ હાજર હોય છે તેને સ્પૉન કહેવામાં આવે છે.

પહેલાંના જમાનામાં તો સ્પૉન ખુલી જગ્યામાંથી ભેગું કરવામાં આવતું હતું. પરંતુ આજે કૃષિ યુનિવર્સિટીઓ બીજનું ઉત્પાદન કરે છે અને તેને મામૂલી ભાવે ખેડૂતોને વેચે છે.

જો નાના ખેડૂતો તે સ્પૉન કૃષિ યુનિવર્સિટીથી લઈને મશરૂમની ખેતી કરવા માંગતા હોય તો તે કરી શકે છે. પરંતુ જે મશરૂમના મોટા ખેડૂત હોય છે તે જાતે સ્પૉન બનાવે છે અને તે મશરૂમની ખેતી પણ કરે છે.

ગુજરાતમાં મુખ્યત્વે બે પ્રકારનાં મશરૂમની ખેતી કરવામાં આવે છે, બટન મશરૂમ અને ઢીંગરી મશરૂમ.

મશરૂમના ઉછેર માટે ઠંડું અને ભેજવાળું વાતાવરણ જરૂરી છે.

મશરૂમ ઉછેર માટે ઉજાસવાળા, પવન, 20-30 ડિગ્રી સેલિસિસ તાપમાન અને વરસાદથી રક્ષિત વાતાવરણની જરૂર હોય છે.

તેથી તેની ખેતી ગુજરાતમાં એક રૂમમાં કરવામાં આવે છે. રૂમમાં નાની થેલીઓમાં પરાળ ભરવામાં આવે છે.

અનિમેષભાઈ સુરતમાં બટન મશરૂમની ખેતી કરે છે. તેઓ કહે છે કે, “મશરૂમની ખેતી કરવા નિયંત્રિત તાપમાન, હવાનું પ્રેશર અને ઑક્સિજન સાથેનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે. તેથી તેને નિયંત્રિત ખેતી પણ કહી શકાય.”

રવિભાઈ રાઘવભાઈ કહે છે કે, “અમારા એકમમાં અમે બીજથી લઈને મશરૂમ સુધી બધું જ બનાવીએ છીએ.”

“સૌપ્રથમ અમે ઘઉં જેવા બીજ લઈને તેને પાણીની અંદર ગરમ કરીએ છીએ અને તેમાંથી અશુદ્ધિઓ કાઢી નાખીએ છીએ. અશુદ્ધિઓ દૂર કરવાની આ પ્રક્રિયાને ઑટોક્લેવ કહેવાય છે. 120-130 ડિગ્રી તાપમાનમાં એકથી બે કલાક ઑટોક્લેવ કર્યા બાદ તેને કોલ્ડ રૂમમાં ઠંડું કરીએ છીએ. ત્યાર બાદ 15-20 દિવસમાં સ્પૉન તૈયાર થઈ જાય છે.”

“સ્પૉન તૈયાર થઈ ગયા બાદ તેને મશરૂમ બનાવવા માટે બીજા રૂમમાં લઈ જવામાં આવે છે. તે રૂમમાં નાની થેલીમાં એક કિલો કંપોસ્ટ ભરીને તેમાં સ્પૉન નાખવામાં આવે છે. આ રૂમમાં અંધારું રાખવામાં આવે છે જેથી કાર્બન ડાયોક્સાઇડ મળી રહે. પછી ધીરે ધીરે જયારે મશરૂમ ઊગવાનું શરૂ થાય ત્યારે ભેજ અને લાઇટ આપવાનું શરૂ કરવામાં આવે છે.”

“એક જ થેલીમાંથી 5થી 7 વાર મશરૂમ લઈ શકાય છે.”

રવિભાઈ એવાં મશરૂમનો પાક કરે છે જે દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. તે મશરૂમનું નામ છે ગેનોડર્મા મશરૂમ.

મશરૂમના ફાયદા

મશરૂમના ફાયદા

ઇમેજ સ્રોત, Navsari Agriculture University

મશરૂમના અનેક ફાયદા છે. આ ફાયદાઓ વિશે વાત કરતા ડૉક્ટર પુષ્પેન્દ્ર કહે છે કે, “મશરૂમ બે પ્રકારના હોય છે, એક જે ખાવાલાયક છે અને બીજું જેનો ઉપયોગ દવા બનાવવામાં થાય છે. જે મશરૂમ ખાવાલાયક છે તે શાકાહારી મશરૂમ જ છે, તેથી તેને કોઈ પણ ખાઈ શકે છે.”

તે મશરૂમના સ્વાસ્થ્ય સંબંધિત ગુણો વિશે વાત કરતા કહે છે કે,”મશરૂમમાંથી ખૂબ જ સારી માત્રામાં વિટામિન્સ અને પોશાક તત્ત્વો મળે છે. મશરૂમમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની ક્ષમતા પણ છે. તે પિત્તાશય અને હૃદય માટે પણ સારો ખોરાક છે.”

રવિભાઈ પણ એવાં મશરૂમની ખેતી કરે છે જે દવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેમના જણાવ્યા પ્રમાણે, “ગેનોડર્મા મશરૂમમાં એવા પોષકતત્ત્વો છે જેનાથી ઊંઘ સારી આવે છે, તણાવ ઓછો થાય છે અને બીજી ઘણી બીમારીઓમાં કામમાં આવે છે.”

મશરૂમને કેવા રોગ થઈ શકે છે?

મશરૂમને કેવા રોગ થાય

ઇમેજ સ્રોત, Ravi Raghavbhai

રવિભાઈ સમજાવતા કહે છે કે, “મશરૂમ ખૂબ જ સંવેદનશીલ પાક છે. થોડો પણ વાતાવરણમાં ફરક આવે તો આ પાક બગડી શકે છે. જો માખી-મચ્છર એકમમાં થશે તો પાક બગડી જવાની શક્યતા ખૂબ જ છે. માખી-મચ્છરથી પાકમાં ઇયળ અને ફંગસ થઈ શકે છે.”

અનિમેષભાઈ કહે છે કે, “એ ધ્યાન રાખ્યું જરૂરી છે કે આ જગ્યા સાફ રહે. જે ખેડૂતો અને મજૂરો અંદર કામ કરે છે તે સાફ-સફાઈ રાખે તે જરૂરી છે. મજૂરોને અંદર જતા પહેલાં સ્ટરીલાઇઝ કરવું જરૂરી છે. બીજી કોઈ વ્યક્તિ એકમમાં જવી ન જોઈએ.”

સરકાર કેવી સહાય આપે છે?

મશરૂમ માટે સરકારની સહાય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસ્વીર

ગુજરાત સરકારના બાગાયતી વિભાગના નાયબ નિયામક ડી.કે. પડાલિયા બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “જો કોઈ ખેડૂતને મશરૂમ ઉછેર કરવો હોય તો સરકાર પાસે ત્રણ સબસિડીની યોજના છે.”

“આ સબસીડીની યોજનાઓ તેના માટે છે જેને મોટો એકમ બનાવવો હોય.”

જે ખેડૂતને બિયારણના ઉત્પાદન માટે લેબ બનાવવી હોય તેમના એક એકમના 15 લાખ મળવા પાત્ર છે અને માળખાકીય ખર્ચને પહોંચી વળવા ક્રેડિટ લિક્ડ બેક ઍન્‍ડેડ સબસિડી સ્વરૂપે 40 ટકા મળી શકે છે.

બીજી સબસિડી મળે છે કમ્પોસ્ટ બનાવવા માટેના એકમ માટે. તેના માટે ખેડૂતને 20 લાખ મળવા પાત્ર રહે છે અથવા, 40 ટકા ક્રેડિટ લિંક્ડ બૅક ઍન્‍ડેડ સબસિડી સ્વરૂપે મળે છે.

અને ત્રીજી સબસિડી છે કોલ્ડ રૂમ માટે. ખેડૂતને કોલ્ડ રૂમ બનાવવા માટે 20 લાખ અથવા 40 ટકા સબસિડી મળવા પાત્ર છે.

આ ત્રણ યોજનાનો લાભ ખેડૂત એકસાથે લઈ શકે છે અથવા અલગ રીતે પણ લઈ શકે છે. પરંતુ આ સબસિડી એક વાર મળે છે.”

આ સબસિડી આધારિત પ્રોજેક્ટ છે અને તેથી જો ખેડૂતે આ ત્રણેય સબસિડી એક સાથે લેવી હોય તો સૌપ્રથમ 55 લાખની લોન લેવી પડશે. ત્યા રપછી જિલ્લા ખેતીવાડી કચેરી તે જગ્યાનું નિરીક્ષણ કરશે કે જો તે સ્થળે કોઈ એકમ ન હોય અને તે પછી સબસિડીની વિનંતીને આખરી સ્વરૂપ આપવા ગાંધીનગર મુખ્યાલયમાં મોકલવામાં આવશે.

ત્યાર બાદ સબસિડી બૅન્કમાં રિઝર્વ ફંડ ઍકાઉન્ટમાં મોકલવામાં આવશે જે ત્રણ વર્ષ પછી રિલીઝ થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

દિવ્યા દેશમુખ: 19 વર્ષની ઉંમરમાં ચેસમાં વિશ્વકપ જીતનારાં ખેલાડી કોણ છે?

0

[ad_1]

દિવ્યા દેશમુખ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Instagram/Divya Deshmukh

નાગપુરનાં ઇન્ટરનૅશનલ માસ્ટર દિવ્યા દેશમુખે ફિડે મહિલા ચેસ-વર્લ્ડ કપની ફાઇનલ મૅચ જીતીને ખિતાબ પોતાને નામ કર્યો છે.

તેમણે ભારતનાં કોનેરુ હમ્પીને હરાવીને આ ખિતાબ જીત્યો છે.

તેઓ 23 જુલાઈના રોજ ફિડે મહિલા ચેસ વર્લ્ડકપના ફાઇનલમાં પહોંચ્યાં હતાં. આ સિદ્ધિ હાંસિલ કરનારાં તેઓ પ્રથમ ભારતીય મહિલા હતાં.

જ્યૉર્જિયાના બટુમીમાં રમાઈ રહેલી આ ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલમાં ભારતીય ચેસ ચૅમ્પિયન કોનેરુ હમ્પીએ જીત મેળવી હતી.

એટલે આ ફાઇનલ મેચમાં બંને ખેલાડી ભારતીય હતાં.

સેમિફાઇનલ મૅચના બીજા તબક્કામાં દિવ્યાએ પૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન ચીનનાં ઝોંગયી તાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

દિવ્યા હવે 2026માં યોજાનારી મહિલા કેન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટ માટે ક્વૉલિફાઈ થઈ ગયાં છે. અને પ્રથમ ગ્રાન્ડ માસ્ટર નૉર્મ પણ હાંસલ કર્યો છે.

‘હજુ ઘણું મેળવવાનું બાકી છે’

દિવ્યા દેશમુખ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Instagram/Divya Deshmukh

ઇમેજ કૅપ્શન, ફિડે વર્લ્ડકપમાં ફાઇનલમાં બે ભારતીય ચેસ પ્લેયર દિવ્યા દેશમુખ અને કોનેરુ હમ્પી વચ્ચે મુકાબલો હતો.

આ જીત બાદ દિવ્યા દેશમુખની પહેલી પ્રતિક્રિયા હતી: “મારા માટે અત્યારે કંઈ પણ બોલવું મુશ્કેલ છે. હજે ઘણું બધું મેળવવાનું બાકી છે, આ તો માત્ર શરૂઆત છે.”

હકીકતે, ભારતે આ જીત સાથે શતરંજમાં એક ઇતિહાસ રચી દીધો છે.

ફિડે વર્લ્ડ કપમાં ફાઇનલમાં બે ભારતીય ચેસ પ્લેયર દિવ્યા દેશમુખ અને કોનેરુ હમ્પી વચ્ચે મુકાબલો હતો.

ટૂંકમાં જીતનો તાજ કોઈના પણ શિરે આવે, વિશ્વકપ ભારતના ફાળે જ આવવાનો હતો.

દિવ્યા દેશમુખ, ફિડે, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, FIDE – International Chess Federation

શનિવારે રાતે 26 જુલાઈના રોજ બંને વચ્ચે પહેલી મૅચ ડ્રૉ થયા બાદ 27 જુલાઈના રોજ આયોજિત બીજી મૅચ પણ ઘણી મહત્ત્વપૂર્ણ સાબિત થઈ હતી.

દિવ્યા અને હમ્પી બંનેને કેંડિડેટ્સ ટુર્નામેન્ટમાં રમવાનો અવસર મળ્યો અને ત્યાંથી બંનેને વર્લ્ડ ચૅમ્પિયનશિપ ટુર્નામેન્ટની ટિકિટ મળી.

રસપ્રદ વાત એ છે કે હરિકા દ્રોણાવલી અને વૈશાલી પણ આ સ્પર્ધામાં ક્વાર્ટરફાઇનલ સુધી પહોંચ્યાં હતાં.

“હું હજુ વધારે સારું રમી શકી હોત”

દિવ્યા દેશમુખ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિવ્યા દેશમુખ મૂળરૂપે નાગપુરનાં રહેવાસી છે

સેમિફાઇનલ જીત્યા બાદ દિવ્યાએ કહ્યું, “હું વધારે સારું રમી શકી હોત.”

તેમણે એમ પણ કહ્યું કે, “એક સમયે હું જીતી રહી હતી. પણ પછી થોડી ભૂલો કરી. આ મૅચ હું આસાનીથી જીતી શકી હોત પણ તેમણે એટલી મજબૂત ટક્કર આપી કે મને લાગ્યું કે ખેલ ડ્રૉ પર પૂરો થશે. અંતમાં ભાગ્ય મારા પક્ષે હતું.”

દિવ્યાએ કહ્યું કે, “મારે હવે આરામ કરવાની જરૂર છે. છેલ્લા કેટલાક દિવસોથી હું તણાવમાં છું. હવે મારે ખાવું જોઈએ અને આરામ કરવો જોઈએ.”

આ ટુર્નામેન્ટમાં દિવ્યાએ ચીનની ઝૂ જિનરને હરાવ્યાં અને ક્વાર્ટર ફાઇનલમાં ભારતનાં હરિકા દ્રોણાવલીને હરાવ્યાં.

દિવ્યા દેશમુખ કોણ છે?

દિવ્યા દેશમુખ મૂળરૂપે નાગપુરનાં રહેવાસી છે અને તેમનો જન્મ 9 ડિસેમ્બર, 2005ના રોજ થયો હતો.

તેમના પિતા જીતેન્દ્ર અને માતા નમ્રતા બંને ડૉકટર છે. તેઓ ભવંસ સિવિલલાઇન્સ સ્કૂલમાં ભણ્યાં છે અને બાળપણથી જ ચેસમાં પ્રવીણ છે.

ઇન્ટરનૅશનલ માસ્ટર નૉર્મ પ્રાપ્ત કરી ચૂકેલાં દિવ્યા ઑગસ્ટ-2023માં દુનિયાનાં સર્વશ્રેષ્ઠ જૂનિયર મહિલા ખેલાડી બન્યાં હતાં. એ સમયે એમની રેટિંગ 2472 હતી.

દિવ્યાને 2023માં ઇન્ટરનૅશનલ માસ્ટર, 2021માં મહિલા ગ્રાન્ડ માસ્ટર, 2018માં મહિલા ઇન્ટરનૅશનલ માસ્ટર અને 2013માં ફિડે (ઇન્ટરનૅશનલ ચેસ ફેડરેશન)થી મહિલા માસ્ટરનો ખિતાબ મળી ચૂક્યો છે.

શતરંજનો શોખ કેવી રીતેે જાગ્યો?

દિવ્યા દેશમુખ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

દિવ્યાને ચેસનો શોખ કેવી રીતે જાગ્યો? એ અંગે દિવ્યાનાં માતા નમ્રતા દેશમુખે બીબીસી મરાઠી સાથે વાતચીત કરી હતી.

નમ્રતા કહે છે, “દિવ્યા પાંચ વર્ષની ઉંમરથી ચેસ રમી રહી છે. દિવ્યાની મોટી બહેન બૅડમિન્ટન રમવા જતી હતી. દિવ્યાએ પણ બૅડમિન્ટન રમવાની કોશિશ કરી. પણ રૅકેટ એનાથી મોટું હતું. દિવ્યા તેને હૅન્ડલ નહોતી કરી શકતી એટલે પછી દિવ્યાનો દાખલો પાસેની એક ચેસ એકૅડેમીમાં કરી દેવામાં આવ્યો.”

“ચેસ એક એવી રમત છે જેમાં એકાગ્રતાની જરૂરિયાત રહે છે. આ માટે એને બહું નાની ઉંમરે ચેસ રમવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી, પણ ધીમે-ધીમે દિવ્યાને આદત પડી ગઈ અને અત્યારે અમને ગર્વ છે કે તે વિશ્વ સ્તરે પહોંચી ગઈ છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

ગુજરાતઃ TET-TAT પાસ યુવાનો નોકરી માટે ટળવળે છે ત્યારે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો વિવાદ કેમ થયો?

0

[ad_1]

ગુજરાત, ટેટ-ટાટ, શિક્ષકોનો વિરોધ, બીબીસી ગુજરાતી

“શિક્ષત બેરોજગારો નોકરી માટે ભીખ માંગી રહ્યા છે અને સરકાર મહિને 60 હજાર રૂપિયાનું પેન્શન મેળવતા નિવૃત્ત શિક્ષકોને નોકરી આપવા માંગે છે. આ માટેનો પરિપત્ર બહાર પાડ્યો તેનો અર્થ એવો કે સરકાર ખુદ માને છે કે જગ્યાઓ ખાલી છે. પરંતુ સરકાર આ જગ્યાઓ કાયમી શિક્ષકોથી ભરવા માંગતી નથી.”

આ શબ્દો છે જીજ્ઞેશ આચાર્યના જેઓ બીએડ કર્યા બાદ છેલ્લાં 10 વર્ષથી નોકરી માટે રાહ જોઈ રહ્યા છે.

ગુજરાત સરકારે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડ્યો જેમાં નિવૃત્ત શિક્ષકોને માનદ વેતન આપીને શિક્ષક તરીકે રાખવાની વાત કરવામાં આવી હતી. તેના કારણે શિક્ષક બનવાની લાયકાત ધરાવતા યુવાન ઉમેદવારોમાં રોષ છે જેમણે જુદી જુદી પરીક્ષાઓ પાસ કરી છે, પરંતુ હજુ કાયમી નોકરી નથી મળી.

જીજ્ઞેશ પ્રજાપતિ અને તેમની સાથે કેટલાય TET (ટીચર એલિજિબિલિટી ટૅસ્ટ) અને TAT (ટીસર્સ એપ્ટિટ્યુડ ટૅસ્ટ) પાસ વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા હતા જ્યાં તેમણે નિવૃત્ત શિક્ષકોની નિમણૂકનો વિરોધ કર્યો હતો અને હાલની ભરતી પ્રક્રિયા વિશે પણ સવાલો ઉઠાવ્યા હતા.

નિવૃત્ત શિક્ષકોને નોકરી પર રાખવાનો પરિપત્ર શું હતો?

બીબીસી ગુજરાતી ગુજરાત શિક્ષણ શિક્ષક ભરતી ટેટ ટાટ ઉમેદવાર સરકારી નોકરી શાળા

ઇમેજ સ્રોત, PAWAN JAISWAL/BBC

ઇમેજ કૅપ્શન, ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે શિક્ષકની નોકરીની રાહ જોતા ઉમેદવારો એકત્ર થયા હતા

ગુજરાત સરકારે 25 જુલાઈએ એક પરિપત્ર બહાર પાડ્યો જેમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત્ત શિક્ષકોને માનદ વેતને નોકરી લેવાની વાત હતી.

પરિપત્રમાં જણાવાયું હતું કે જે શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી છે, ત્યાં જ્ઞાનસહાયક શિક્ષકોની ભરતી કર્યા પછી જગ્યાઓ વધે તો ત્યાં નિવૃત શિક્ષકો (ઉંમર 58 થી 62 વર્ષ સુધી)ને નોકરી આપવામાં આવે.

જ્ઞાન સહાયકને જે માનદ વેતન આપવામાં આવે છે, તેટલું વેતન નિવૃત્ત શિક્ષકને ચુકવવાની પણ પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી. ગુજરાતમાં જ્ઞાનસહાયકોને મહિને 21 હજારથી 26 હજાર રૂપિયા સુધી માનદ વેતન આપવામાં આવે છે.

ગુજરાતમાં મોટી સંખ્યામાં યુવાનોએ ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ પાસ કરી છે અને કાયમી ભરતી થાય તેની રાહ જોઈ રહ્યા છે. તેવામાં નિવૃત્ત શિક્ષકોને માનદ વેતન પર રાખવાની વાત આવતા તેમનામાં રોષ ફેલાયો હતો.

વીડિયો કૅપ્શન, Gujarat TET-TAT Protest : ‘પહેલાં પરીક્ષા માટે અને હવે ભરતી માટે આંદોલન’ વિદ્યાર્થીઓ શું બોલ્યા?

પરિપત્ર કેમ રદ કરવો પડ્યો?

બીબીસી ગુજરાતી ગુજરાત શિક્ષણ શિક્ષક ભરતી ટેટ ટાટ ઉમેદવાર સરકારી નોકરી શાળા

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું કે નિવૃત્ત શિક્ષકોને માનદ વેતન પર રાખવાનો પરિપત્ર રદ કરવામાં આવ્યો છે.

સરકારના પરિપત્રનો નોકરીવાંચ્છુક ઉમેદવારો તેમજ શિક્ષણ સંઘ દ્વારા ભારે વિરોધ કરવામાં આવતા માત્ર ત્રણ દિવસની અંદર, 28 જુલાઈ, સોમવારે સરકાર પરિપત્ર રદ કરવો પડ્યો હતો.

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે નિવૃત્ત શિક્ષકોને રાખવાનો પરિપત્ર રદ કરવામાં આવ્યો છે.

આ પરિપત્ર કોના કહેવાથી બહાર પાડવામાં આવ્યો હતો તે સવાલના જવાબમાં પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, “કોઈપણ નિર્ણય થાય તેમાં વિભાગના અમે બધા જ લોકો સાથે હોઈએ છીએ.”

ભરતી પ્રક્રિયા સામે ઉમેદવારોમાં નારાજગી

બીબીસી ગુજરાતી ગુજરાત શિક્ષણ શિક્ષક ભરતી ટેટ ટાટ ઉમેદવાર સરકારી નોકરી શાળા

ઇમેજ સ્રોત, PAWAN JAISWAL/BBC

દરમિયાન શિક્ષકની નોકરી ઇચ્છતા ઉમેદવારોનું કહેવું છે કે એક તરફ તેમની ઉંમર વધતી જાય છે અને બીજી તરફ સરકાર ભરતી પ્રક્રિયા પૂરી કરતી નથી.

ગાંધીનગર ખાતે રજૂઆત કરવા આવેલા રવિ પટેલે બીબીસીને જણાવ્યું કે, “મેં 2018માં બીએડનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ સરકાર ટેટ અને ટાટની પરીક્ષા યોજી રહી ન હતી.”

તેઓ કહે છે, “સૌથી પહેલાં અમારે પરીક્ષા માટે આંદોલન કરવું પડ્યું હતું. ત્યાર બાદ સરકારે વર્ષ 2023માં ટેટ અને ટાટની પરીક્ષા લીધી હતી. પરીક્ષા લીધા બાદ બે વર્ષ થયાં, પરંતુ હજુ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં નથી આવી. અમારી ઉંમર વધી રહી છે. શાળાઓમાં જગ્યાઓ ખાલી છે અને અમે બેરોજગાર છીએ.”

રવિ પટેલે જણાવ્યું કે, “અત્યારે ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં એક ઉમેદવારનું બે જગ્યાએ સિલેક્શન થયું છે. ઉમેદવાર ધોરણ 9 અને 10ની શાળામાં પણ પસંદ થયા છે અને 11 અને 12 ધોરણની શાળામાં પણ પસંદગી પામ્યા છે. તે એક જગ્યા પર નોકરી કરી શકશે તો તેની એક જગ્યા ખાલી પડવાની છે. આવી 2500 કરતાં વધારે બેઠકો ખાલી રહેશે.”

તેમની ફરિયાદ છે કે, “વધતી વયના કારણે અમારા પર સામાજિક દબાણ પણ છે. સરકારે આ જગ્યાઓ માટે ફરીથી રાઉન્ડ બહાર પાડીને ભરતી કરવી જોઈએ.”

નિવૃત્ત શિક્ષકોની ભરતીના મામલે રવિએ કહ્યું કે, “દેશમાં જ નહીં, પરંતુ દુનિયામાં આ એવી પહેલી સરકાર હશે જે 58 વર્ષના નિવૃત્તોની ભરતી કરશે. દરેક ઉમેદવાર એક પરિવારનો આધાર હોય છે. તેથી એક પણ સીટ વેડફાય નહીં તે રીતે ભરતી થવી જોઈએ.”

સરકારે નિર્ણયનો કઈ રીતે બચાવ કર્યો?

બીબીસી ગુજરાતી ગુજરાત શિક્ષણ શિક્ષક ભરતી ટેટ ટાટ ઉમેદવાર સરકારી નોકરી શાળા

ઇમેજ સ્રોત, PAWAN JAISWAL/BBC

ઇમેજ કૅપ્શન, રિટાયર્ડ શિક્ષકોને માનદ વેતન પર નોકરીએ રાખવાના પરિપત્રનો યુવા ઉમેદવારોએ ઉગ્ર વિરોધ કર્યો છે.

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, “શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં ટેકનિકલ કારણોથી કોઈ ઉમેદવારને અન્યાય ન થાય તે હેતુસર પ્રક્રિયામાં 15 દિવસથી એક મહિનો મોડું થયું છે. આ દરમિયાન બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે આ નિર્ણય લેવાયો હતો.”

તેમણે કહ્યું કે, “સરકારે જેટલા ઉમેદવારોની ભરતીની જાહેરાત કરી છે તેનાથી એક પણ શિક્ષક ઓછા નહીં લેવાય. ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં તેમજ જ્યાંથી બદલી થઈ હોય તેવી શાળાઓમાં શિક્ષકોની બદલે વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોને લેવાના હતા. પરંતુ આ પરિપત્ર અંગે ઉમેદવારોના મનમાં શંકા હતી. તેથી અમે પરિપત્ર રદ કર્યો છે.”

ભરતી પ્રક્રિયાનો આખો મામલો શું છે?

બીબીસી ગુજરાતી ગુજરાત શિક્ષણ શિક્ષક ભરતી ટેટ ટાટ ઉમેદવાર સરકારી નોકરી શાળા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શિક્ષકોની ઘટ પૂરી કરવા ગુજરાત સરકારે માર્ચ મહિનામાં 10 હજાર વિદ્યાસહાયકોની નિમણૂક કરવાનો નિર્ણય લીધો હતો

શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. ધોરણ 9થી 12 સુધીની શિક્ષકની ભરતીમાં ટાટની પરીક્ષા પાસ કરવાની હોય છે. ધોરણ 9થી 10 અને ધોરણ 11થી 12 માટે અલગ ભરતી થાય છે. કેટલાક ઉમેદવારો ધોરણ 9-10 અને ધોરણ 11-12 બંનેના મેરિટમાં આવ્યા છે. તેઓ કોઈ એક જગ્યાએ નોકરી સ્વીકારી શકશે તેથી એક જગ્યા ખાલી રહેશે.

ઉમેદવારોની માંગણી છે કે આ ખાલી પડેલી જગ્યાઓની સંખ્યા વધારે છે. તેથી ભરતી પ્રક્રિયાનો બીજો રાઉન્ડ રાખીને ભરતી કરવામાં આવે.

જીજ્ઞેશ આચાર્ય નામના એક ઉમેદવારે જણાવ્યું કે, “સરકાર 20 ટકા વેઇટિંગ લિસ્ટ બહાર પાડવાનું કહે છે. પરંતુ અમારી માંગણી છે કે સરકાર બીજો રાઉન્ડ બહાર પાડે. કારણ કે ભરતી પ્રક્રિયામાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ 20 ટકા કરતા ખૂબ જ વધારે છે.”

તેમણે કહ્યું કે, “ધોરણ 9થી 12ની ભરતીમાં 3500 જગ્યાઓ ખાલી હોવાની માહિતી મળી છે. અમે શિક્ષણ વિભાગ પાસે માહિતી માંગી છે પરંતુ કોઈ માહિતી મળી નથી. કેટલા ઉમેદવારો હાજર કે ગેરહાજર છે તે અંગેની માહિતી અમને મળવી જોઈએ.”

તેમણે જણાવ્યું કે, “સરકાર ધોરણ 1થી 8 માં ઑફલાઇન ભરતી કરે છે. પરંતુ ધોરણ 9થી 12માં ઑનલાઇન ભરતી કરે છે તેની સામે વાંધો છે.”

અન્ય એક ઉમેદવાર વૈશાલી મકવાણાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, “કઈ જગ્યાઓ ખાલી છે તે અંગે અમે જવાબ માગ્યા, પરંતુ અધિકારીઓ પાસે તેના જવાબ નથી. તેમને રાઉન્ડ આપવો જ નથી. અમે વારંવાર રજૂઆત કરી છે. પરંતુ અધિકારીઓ કહે છે કે 20 ટકા બેઠકોનું વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે. હકીકતમાં 20 ટકા કરતાં વધારે જગ્યા ખાલી રહે છે. તેથી અમે બીજા રાઉન્ડની માગણી કરી રહ્યા છીએ. જેથી અમને નોકરી મળે અને શાળાઓને કાયમી શિક્ષક મળી જાય.”

ગોપી પ્રજાપતિ પણ એવા એક ઉમેદવાર છે જેઓ સરકારની કામગીરીથી નારાજ છે.

તેઓ કહે છે, “અમે છેક મુખ્ય મંત્રી સુધી રજૂઆત કરી ચૂક્યા છીએ. મારે દોઢ વર્ષનું બાળક છે, જેને ઘરે મૂકીને અમે વારંવાર અમારા મુદ્દાઓ અંગે રજૂઆત કરવા માટે આવીએ છીએ. પરંતુ અમારી વાત સાંભળવામાં આવતી નથી. હવે અમે થાકી ગયા છીએ.”

તેઓ કહે છે, “મે વર્ષ 2018માં બીએડનો અભ્યાસ પૂરો કર્યો હતો. ત્યાર પછી ટેટ અને ટાટની પરીક્ષા લેવાય તે માટે આંદોલન કર્યું. પરીક્ષા પાસ કરી. પછી ભરતી માટે આંદોલન કર્યું. પોલીસનો માર ખાધો, છતાં સમસ્યાનો અંત નથી આવ્યો.”

“અમે નોકરીની રાહ જોઈ રહ્યા છીએ. જે જગ્યાઓ પર શિક્ષકો હાજર થયા નથી તે જગ્યાઓ ભરવા માટે સરકાર બીજો રાઉન્ડ જાહેર કરે તો કેટલાય ઉમેદવારોને નોકરી મળશે અને વિદ્યાર્થીઓને કાયમી શિક્ષક મળશે.”

કૈલાસ પ્રજાપતિ નામના ઉમેદવારની ફરિયાદ છે કે, “વિધાનસભાની એક બેઠક પણ ખાલી પડે તો તેના માટે ચૂંટણી યોજાય છે. શાળાઓમાં શિક્ષકોની આટલી મોટી ઘટ છે તો કેમ ભરતી કરવામાં આવતી નથી?”

શિક્ષકોની ભરતી વિશે સરકાર શું કહે છે?

બીબીસી ગુજરાતી ગુજરાત શિક્ષણ શિક્ષક ભરતી ટેટ ટાટ ઉમેદવાર સરકારી નોકરી શાળા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઔદ્યોગિક રીતે આગળ પડતા રાજ્ય ગુજરાતમાં શિક્ષકોની મોટી ઘટ છે (પ્રતીકાત્મક તસવીર)

આ મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, “સરકારે નક્કી કરેલી શિક્ષકોની તમામ જગ્યા પર ભરતી કરવામાં આવશે.”

તેમણે સ્વીકાર્યું હતું કે હાલની ભરતી પ્રક્રિયામાં જગ્યાઓ ખાલી પડી છે.

તેમણે કહ્યું કે, “કેટલીક જગ્યાએ અમને ઉમેદવારો મળ્યા નથી. તેના માટે વિચારણા કરીને નિયમ મુજબ નિર્ણય લેવાશે. પરંતુ તેમાં એક-બે મહિના જેટલો સમય લાગે. તેથી નિવૃત્ત શિક્ષકોને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. “

શિક્ષણ વિભાગના જૉઇન્ટ ડાયરેક્ટર સોનલ પઢેરીયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, “નિયમો મુજબ જ ભરતી પ્રક્રિયા થઈ રહી છે. એક વાર દરેક જિલ્લામાં ઑર્ડર અપાઈ જાય અને શિક્ષકો હાજર થઈ જાય, ત્યાર પછી કેટલા લોકો હાજર નથી થયા અને કેટલી જગ્યાઓ ખાલી છે તેનો આંકડો મળશે. અમે નિયમ મુજબ 20 ટકા બેઠકો પર વેઇટિંગ લિસ્ટ બહાર પાડીશું. આ ઉપરાંત વધારાની જગ્યાઓ ખાલી હશે તો આંકડો મળ્યા પછી ભરતી સમિતિ સાથે ચર્ચા કરીશું.”

સોનલ પઢેરીયાએ જણાવ્યું કે, “ઉમેદવારો અવારનવાર રજૂઆત માટે આવે છે. અમે તેમને સાંભળીએ છીએ. મે ઑનલાઇન પારદર્શક ભરતી કરી રહ્યા છીએ અને વધુમાં વધુ ઉમેદવારોને નોકરી મળે તેવું ઇચ્છીએ છીએ.”

શિક્ષણ વિભાગે આપેલા આંકડા પ્રમાણે ધોરણ 11-12માં કુલ 4758 ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. જેમાં સરકારી શાળાઓમાં 1515 નિમણૂક પત્ર અપાયા છે, ગ્રાન્ટ-ઇન-એઇડમાં 3243 ઉમેદવારોને ઍપૉઇન્ટમેન્ટ લેટર મળ્યા છે.

ધોરણ 9-10માં કુલ 4642 ઉમેદવારોને નિમણૂકપત્ર આપવામાં આવ્યા છે. જેમાંથી સરકારી શાળામાં 1298 અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં 3344 શિક્ષકોને નિમણૂક અપાઈ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

Google search engine
0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Recent Posts