[ad_1]
ઇમેજ સ્રોત, Reuters
ગાઝામાં હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયે કુપોષણને કારણે મરનારા લોકોની સંખ્યા મામલે એક નિવેદન જાહેર કર્યું છે.
હમાસ દ્વારા સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં અકાલ અને કુપોષણથી વધુ 9 મોત થઈ છે.
આ સાથે ભોજનની અછતને કારણે મરનારાં બાળકોની સંખ્યા 88 થઈ છે.
આ સપ્તાહના આરંભમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું હતું કે ‘ગાઝાની 21 લાખની વસ્તીમાં જરૂરી ચીજવસ્તુઓની આપૂર્તિની ગંભીરર કમી છે. કુપોષણ વધી રહ્યું છે અને ગાઝામાં ભૂખમરી દરેક દરવાજે મોં ફાડીને ઊભી છે.’
ડીઆરડીઓએ કર્યું ડ્રૉનથી છોડવામાં આવતી મિસાઇલનું પરિક્ષણ
ઇમેજ સ્રોત, DRDO
ભારતીય સંરક્ષણ અનુસંધાન તથા વિકાસ સંગઠન એટલે કે ડીઆરડીઓએ ડ્રૉનથી છોડવામાં આવતી અત્યાધુનિક મિસાઇલ યૂએલપીજીએમ-વી3નું સફળ પરિક્ષણ કર્યું છે.
આંધ્ર પ્રદેશના કુરનૂલસ્થિત રાષ્ટ્રીય પરિક્ષણ રેન્જમાં યુએલપીજીએમ-વી3ને છોડવામાં આવી હતી.
આ મિસાઇલ વિભિન્ન પ્રકારનાં લક્ષ્યાંકો પર હુમલા કરવામાં સક્ષમ છે. તેને સમતલ અને વધારે ઉંચાઈ ધરાવતાં સ્થાનો પરથી પણ છોડી શકાય છે.
આ મિસાઇલની ખાસ વાત એ છે કે તેને ઘણા પ્રકારના વૉરહેડ લગાવીને લક્ષ્યાંકને તબાહ કરી શકાય છે.
ડીઆરડીઓએ જણાવ્યું છે કે આ દિવસ અને રાત્રે, કોઈ પણ ઋતુમાં સટીક નિશાન લગાવી શકે છે.
તેમાં ત્રણ વૉરહેડ લગાવી શકાય છે.
- ઍન્ટિ-આર્મર વૉરહેડ: જે આધુનિક ટૅન્કો અને બખ્તરબંધ ગાડીઓને તબાહ કરી શકે છે.
- પેનિટ્રેશન-કમ-બ્લાસ્ટ વૉરહેડ: જે બંકર અને છુપાયેલાં ઠેકાણાંને પણ સમાપ્ત કરી શકે છે.
- પ્રી-ફ્રૅગ્મેન્ટેશન વૉરહેડ: જે વધારે મોટા વિસ્તારમાં ભારે નુકસાન કરી શકે છે.
આ મિસાઇલને એક ડ્રૉનમાંથી છોડવામાં આવી. તેને બૅંગ્લુરુની ભારતીય સ્ટાર્ટ-અપ કંપની ન્યૂસ્પેસ રિસર્ચ ટૅક્નૉલૉજીઝે તૈયાર કરી છે.
ડીઆરડીઓ સેનાની ક્ષમતા વધારવા માટે આ મિસાઇલની લાંબી રેન્જ અને વધારે સમય સુધી ઉડનારા ડ્રૉનમાં પણ લગાવવાની તૈયારી કરે છે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ડીઆરડીઓ સહિત તમામ કંપનીઓને આ મોટી સફળતાને લઈને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે આ સફળતાથી સાબિત થાય છે કે હવે ભારત ખુદ આ પ્રકારની અત્યાધુનિક સંરક્ષણ તકનીક બનાવી શકે છે.
ડીઆરડીઓ ચૅરમૅન ડૉ. સમીર વી. કામથે કહ્યું કે આ મિસાઇલ આજના સમયની જરૂરત છે. તેનાથી ભારતીય સેનાને વધુ તાકત મળશે.
ઇઝરાયલનો દાવો, ‘ગાઝામાં સહાયતા પહોંચાડવા માટે સંયુક્ત રાષ્ટ્રને અમે સુરક્ષા આપીએ છીએ’
ઇમેજ સ્રોત, Getty Images
ગાઝામાં સહાયતા સામગ્રી ન પહોંચાડવા દેવાના આરોપ વચ્ચે ઇઝરાયલે દાવો કર્યો છે કે તે તો અહીં સહાયતા પહોંચાડનારી સંયુક્ત રાષ્ટ્રની ટીમોને સુરક્ષા પ્રદાન કરે છે.
એક પ્રેસ કૉન્ફરન્સમાં જ્યારે ઇઝરાયલના પ્રવક્તા ડૅવિડ મેન્સરને પૂછવામાં આવ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર આ કોની જવાબદારી છે કે ગાઝામાં લોકોને ભોજન ઉપલબ્ધ કરાવાય?
તો તેમણે કહ્યું, “અમે આંતરરાષ્ટ્રીય કાયદા પ્રતિ ઉત્તરદાયી હોવાની આવશ્યક્તા નથી, એક દેશના રૂપે, એક યહુદી રાજ્ય હોવાને લઈને અમારું કર્તવ્ય છે કે અમે આ સુનિશ્ચિત કરીએ કે ગાઝામાં ભૂખમરો ન ફેલાય.”
તેમણે કહ્યું કે “તેથી તેઓ સ્પષ્ટ કરે છે કે સહાયતાની માત્રા પર કોઈ પ્રતિબંધ નથી.” તેમણે એ વાત પર પણ જોર આપ્યું કે ઇઝરાયલી સેનાએ સહાયતા પહોંચાડવા માટે સંયુક્ત રાષ્ટ્રને તમામ આવશ્યક સુરક્ષાની પેશકશ કરી છે.
તેમણે કહ્યું, “કોઈ પણ ગાઝાવાસીઓને પીડિત નહીં જોવા માગતા.” તેમણે ફરી કહ્યું કે ઇઝરાયલ સહાયતા ઉપલબ્ધ કરાવે છે અને હમાસ દોષિત છે.
આ પહેલા સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું હતું કે 27મી મેથી અત્યારસુધી ભોજનની તલાશમાં નીકળેલા ઓછામાં ઓછા 1,054 પેલેસ્ટાઇનવાસીઓને ઇઝરાયલની સેનાએ મારી નાખ્યા છે.
થાઇલૅન્ડની ચેતવણી, ‘કંબોડિયા સાથેનો સંઘર્ષ યુદ્ધમાં ફેરવાઈ શકે છે’
ઇમેજ સ્રોત, Getty Images
થાઇલૅન્ડના કાર્યવાહક વડા પ્રધાન ફુમથમ વેચાયાચાઈએ કહ્યું છે કે ‘થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલો સૈન્ય સંગ્રામ યુદ્ધ તરફ આગળ વધી શકે છે.’
આ સંઘર્ષમાં અત્યારસુધીમાં ઓછામાં ઓછા 16 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે અને લાખો લોકો બેઘર થઈ ગયા છે.
ફુમથમ વેચાયાચાઈની ચેતવણી એવા સમયે આવી છે કે જ્યારે વિવાદિત સરહદ પર લડાઈ બીજા દિવસે પણ ચાલી રહી છે.
આ તણાવ એક સદીથી વધારે સમયથી ચાલ્યો આવતો સરહદ વિવાદનો ભાગ છે. હવે આ ટકરાવ ગંભીર રૂપ ધારણ કરી રહ્યો છે.
થાઇલૅન્ડમાં, ઉબોન રત્વધાની અને સુરિન પ્રાંતોમાં થયેલી લડાઈમાં ડઝનો લોકો ઘાયલ થયા અને એક લાખ કરતાં વધારે નાગરિકો વિસ્થાપિત થયા છે.
ત્યાં, કંબોડિયાના ઓદ્દાર મીંચે પ્રાંતમાં લગભગ 1,500 પરિવારોને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા છે.
વિખ્યાત કુસ્તીબાજ હલ્ક હોગનનું 71 વર્ષની વયે નિધન
ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના સૌથી જાણીતા કુસ્તીબાજ અને સેલિબ્રિટી ગણાતા હલ્ક હોગનનું 71 વર્ષની વયે અવસાન થયું છે.
બીબીસીના સ્ટીવન મેકઇન્ટોસના અહેવાલ પ્રમાણે હલ્ક હોગનનું અસલી નામ ટેરી જિન બોલિયા હતું. તેઓ પોતાના લાંબા વાળ અને આઇકૉનિક હેન્ડલબાર જેવી મૂછોના કારણે જાણીતા હતા. ગુરુવારે તેમના ફ્લોરિડા આવેલા ઘરમાં તેમનું નિધન થયું હતું.
હલ્ક હોગને 1977માં પ્રોફેશનલ રેસલર તરીકે કારકિર્દી શરૂ કરી હતી, પરંતુ વર્લ્ડ રેસલિંગ ફેડરેશન (ડબલ્યુડબલ્યુએફ) સાથે જોડાયા પછી તેમની લોકપ્રિયતામાં ભારે વધારો થયો હતો. ત્યાર પછી ડબલ્યુડબલ્યુએફનું નામ બદલીને ડબલ્યુડબલ્યુઈ કરવામાં આવ્યું હતું.
ઇમેજ સ્રોત, Getty Images
રેસલિંગની લોકપ્રિયતા વધી તેમાં હલ્ક હોગનને ભારે પ્રસિદ્ધિ મળી હતી. તેમના મામે ‘હોગન નોઝ બેસ્ટ’ નામે એક રિયાલિટી શો પણ શરૂ થયો હતો જેનું 2005થી 2007 દરમિયાન પ્રસારણ થયું હતું.
હોગનના મૅનેજર ક્રિસ વોલોએ જણાવ્યું કે ફ્લોરિડામાં ક્લિયરવોટર ખાતે હલ્ક હોગનનું હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થયું છે. તે વખતે તેમનો પરિવાર તેમની સાથે હતો.
તાજેતરમાં હલ્ક હોગન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મોટા સમર્થક તરીકે ઊભરી આવ્યા હતા.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે તેમણે “આજે એક મહાન મિત્ર ‘હલ્કસ્ટર’ને ગુમાવ્યા છે.”
તેમણે લખ્યું કે, “હલ્ક હોગન મજબૂત, ટફ, સ્માર્ટ હતા અને ઉદાર દિલના હતા. તેમણે રિપબ્લિકન નૅશનલ કન્વેન્શનમાં જબરજસ્ત સ્પીચ આપી હતી.”
રાજસ્થાનઃ ઝાલાવાડમાં સરકારી શાળાનું ધાબું પડવાથી ત્રણ બાળકોનાં મોત
ઇમેજ સ્રોત, Anis Alam
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં મનોહર થાણા વિસ્તારમાં શુક્રવારે સવારે એક સરકારી સ્કૂલનું ધાબું પડવાના કારણે ત્રણ બાળકોનાં મોત થયાં છે.
આ ઘટનામાં ઓછામાં ઓછા 30 અન્ય લોકોને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
રાજસ્થાનના શિક્ષણમંત્રી મદન દિલાવરે ત્રણ બાળકોનાં મોતની પુષ્ટિ કરી છે. જોકે, મીડિયા રિપોર્ટમાં મૃતક બાળકોની સંખ્યા ઓછામાં ઓછી પાંચ જણાવાય છે.
દુર્ઘટના પછી ગામવાસીઓએ કાટમાળમાંથી ઈજાગ્રસ્તો અને મૃતક બાળકોને બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોમાં શિક્ષકો પણ સામેલ છે. હાલમાં સારવાર માટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મદન દિલાવરે નિવેદનમાં જણાવ્યું કે “શાળાનું ધાબું પડવાની દુખદ ઘટના બની છે. ત્રણ બાળકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં છે. કલેક્ટર સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓને મોકલવામાં આવ્યા છે.”
તેમણે કહ્યું કે “ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. આ દુર્ઘટના કેવી રીતે બની તેની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવામાં આવશે.”
આ દુર્ઘટના પર રાજસ્થાનના મુખ્ય મંત્રી ભજનલાલ શર્માએ અફસોસ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે “ઝાલાવાડના પીપળોદમાં વિદ્યાલયનું ધાબું પડવાથી બનેલી ઘટના અત્યંત દુખદાયક છે.”
બ્રિટનમાં પેલેસ્ટાઇનને રાષ્ટ્રનો દરજ્જો આપવાની માગ તેજ
ઇમેજ સ્રોત, Getty Images
એક તરફ ફ્રાન્સે પેલેસ્ટાઇનને એક સ્વતંત્ર દેશ તરીકે દરજ્જો આપવાની વાત કરી છે ત્યારે બ્રિટનમાં પણ પેલેસ્ટાઇનને રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની માગણી તેજ બનતી જાય છે. બ્રિટનમાં વિદેશ મામલાની સંસદીય સમિતિના મોટા ભાગના સાંસદોએ કહ્યું કે બ્રિટને ઝડપથી પેલેસ્ટાઇનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવી જોઈએ.
બ્રિટનના વડા પ્રધાન કીએર સ્ટાર્મરે લેબર પાર્ટીની અંદરથી જ પેલેસ્ટાઇનને માન્યતા આપવા માટે નવી અપીલોનો સામનો કરવો પડ્યો છે.
ગાઝામાં મોટા પાયે ભૂખમરાની ચેતવણી અપાય છે અને ફ્રાન્સ આગામી મહિનાઓમાં પેલેસ્ટાઇનને માન્યતા આપવાની વાત કરે છે, ત્યાર પછી બ્રિટન પર પણ દબાણ વધી ગયું છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોએ ગુરુવારે કહ્યું કે તેઓ આ વર્ષે સપ્ટેમ્બરમાં પેલેસ્ટાઇનને સત્તાવાર માન્યતા આપશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
[ad_2]
Source link







