[ad_1]
ઇમેજ સ્રોત, Reuters
રશિયાના પૂર્વ કિનારે મંગળવારે 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, તેના કારણે પ્રશાંત મહાસાગરમાં સુનામી આવવાની ચેતવણી આપવામાં આવી છે.
યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ)એ જણાવ્યું કે કમચટકા પ્રાયદ્વિપમાં પેટ્રોપાવલોવ્સ્કથી લગભગ 136 કિલોમીટર પૂર્વમાં 19 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્ર હતું.
સ્થાનિક ગવર્નરે આ ભૂકંપને તાજેતરના દાયકાઓમાં આવેલો સૌથી શક્તિશાળી ભૂકંપ ગણાવ્યો છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી આવ્યા.
યુએસજીએસનું કહેવું છે કે આગામી ત્રણ કલાકમાં રશિયા અને જાપાનના સમુદ્રકિનારે ખતરનાક સુનામીની લહેરો પહોંચી શકે છે. અમેરિકન અધિકારીઓએ અલાસ્કા સહિત અનેક ક્ષેત્રો માટે સુનામીની ચેતવણી જારી કરી છે.
જાપાનની હવામાન એજન્સીએ પણ પ્રશાંત સમુદ્રના કિનારે લગભગ 3.3 ફૂટ ઊંચી સુનામીની લહેરો ઉઠવાની ચેતવણી આપી છે. શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 8.0 હોવાનું જણાવાયું હતું, પરંતુ પછી તેને સુધારીને 8.8 કરવામાં આવી હતી.
સુનામીની લહેરો જાપાન પહોંચી, વડા પ્રધાન ઇશિબાએ શું કહ્યું?
ઇમેજ સ્રોત, Reuters
જાપાનના સ્થાનિક બ્રૉડકાસ્ટર એનએચકેએ જણાવ્યું છે કે હોક્કાઈડો પ્રાંતના ઉત્તરના વિસ્તારમાં સુનામીની લહેરો પહોંચી ગઈ છે. એક અંદાજ પ્રમાણે લહેરોની ઉંચાઈ લગભગ એક ફૂટ છે.
સુનામીએ હોક્કાઈડોના ઉત્તરક-પૂર્વ વિસ્તારમાં આવેલા શહેર નોમુરોના બંદરને અસર કરી છે. જાપાનના અધિકારીઓએ પહેલેથી ચેતવણી આપી દીધી હતી કે સુનામીની લહેરો વધારે ઊંચી હોઈ શકે છે.
જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબાએ કહ્યું કે અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. કોઈ પણ રાહતકાર્યમાં લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે.
હજુ સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી મળ્યા. વડા પ્રધાને લોકોને સમુદ્રકિનારાથી દૂર જવા અને ઊંચાઈવાળી જગ્યાએ જતા રહેવા અપીલ કરી છે.
જાપાનમાં સુનામીની ચેતવણી પછી ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટ ખાલી કરાવાયો
જાપાનના સમુદ્રમાં સુનામી આવશે તેવી ચેતવણી મળ્યા પછી તાકીદનાં પગલાં લેવાઈ રહ્યાં છે. જાપાનની ટોક્યો ઇલેક્ટ્રિક પાવર કંપનીએ જણાવ્યું કે ફુકુશિમા દાઇચી અને ફુકુશિમા દાઈની ન્યુક્લિયર પ્લાન્ટના કામદારોને સુરક્ષિત કાઢીને ઊંચાં સ્થળો પર લઈ જવાયા છે.
વર્ષ 2011માં જાપાનમાં આવેલા વિનાશક 9.0ની તીવ્રતાના ભૂકંપ અને સુનામી પછી ફુકુશિમા દાઈચી પ્લાન્ટમાં મોટો પરમાણુ વિસ્ફોટ થયો હતો.
ટીઈપીસીઓએ જણાવ્યું કે પ્લાન્ટને કોઈ પ્રકારનું નુકસાન નથી થયું. સુનામીને લગતી ચેતવણી પર નજર રાખવામાં આવી રહી છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં ટીઈપીસીઓએ જાહેરાત કરી કે ઈંધણના કાટમાળને સંપૂર્ણપણે હટાવવામાં 12થી 15 વર્ષનો વિલંબ થઈ શકે છે, જેથી રેડિયેશન લેવલને ઘટાડવા માટે પૂરતો સમય મળી શકે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
[ad_2]
Source link







