[ad_1]
ઇમેજ સ્રોત, ANI
લોકસભામાં પહલગામ હુમલા અને ઑપરેશન સિંદૂર પર ચર્ચાનો મંગળવારે બીજો દિવસ છે. આ ચર્ચાની શરૂઆત ગૃહમંત્રી અમિત શાહે કરી હતી. ચર્ચાની શરૂઆતમાં જ ગૃહમંત્રીએ સદનમાં ઘોષણા કરી કે પહલગામના હુમલામાં સામેલ ત્રણ ચરમપંથીઓને સુરક્ષાદળોએ ‘ઑપરેશન મહાદેવ’ અંતર્ગત ઠાર માર્યા છે.
ગૃહમંત્રી અમિત શાહે ચર્ચાની શરૂઆતમાં સદનમાં કહ્યુ, “પહલગામમાં નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી. ધર્મ પૂછીને તેમના પરિવારની સામે મારવામાં આવ્યા. બર્બરતાથી તેમની સાથે આમ કરવામાં આવ્યું. તેની હું ઘોર નિંદા કરું છું.”
‘ઑપરેશન સિંદૂર’ પર ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું કે સ્વાભાવિક છે કે આ પ્રકારની નૃશંસ ઘટના પર ચર્ચા અને ચિંતન આવશ્યક છે. સાથે આ પ્રકારની ઘટના બીજી વખત ન થાય તેની વ્યવસ્થાની ચિંતા પણ થવી જોઈએ.
આ દરમિયાન તેમણે ‘ઑપરેશન મહાદેવ’નો પણ ઉલ્લેખ કર્યો. ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે તેઓ ‘ઑપરેશન મહાદેવ’ની પણ જાણકારી આપવા માગે છે.
આ વિશે જાણકારી આપતાં તેમણે કહ્યું, “કાલે ઑપરેશન મહાદેવમાં સુલેમાન ઉર્ફે ફૈઝલ જટ, અફઘાન અને જિબ્રાન નામના આતંકવાદીઓને સેના, સીઆરપીએફ અને પોલીસના સંયુક્ત અભિયાનમાં ઠાર મારવામાં આવ્યા છે. સુલેમાન લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર હતો. જે પહેલગામ તથા ગગનહીર હુમલામાં સામેલ હતો. અફઘાન અને જિબ્રાન પણ લશ્કર-એ-તૈયબાનો ‘એ’ ગ્રેડના આતંકી હતા.”
“બેસરન ખીણના હુમલામાં આ ત્રણેય આતંકવાદી સામેલ હતા. અને ત્રણેયને મારી નાખવામાં આવ્યા છે. સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોને ઘણો સાધૂવાદ આપવા માગુ છું. ત્રણેય આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા છે.”
કેવી રીતે આ ઑપરેશન પાર પાડ્યું?
ઇમેજ સ્રોત, ANI
ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં પહલગામ હુમલા બાદ ચરમપંથીઓની ધરપકડ માટે થયેલી સમગ્ર કાર્યવાહી વિશે વિગતવાર માહિતી આપી હતી.
તેમણે કહ્યું, “ઑપરેશન મહાદેવની શરૂઆત 22 મે 2025ના રોજ થઈ હતી. પહલગામમાં જે દિવસે હત્યા થઈ, એ જ રાત્રે જમ્મુ-કાશ્મીરમાં એક સુરક્ષા બેઠક યોજાઈ હતી.”
તેમના જણાવ્યા પ્રમાણે એક વાગ્યે હુમલો થયો અને તેઓ સાડા પાંચ વાગ્યે શ્રીનગરમાં પહોંચી ગયા હતા. 23 એપ્રિલે એક સુરક્ષા બેઠક યોજાઈ હતી. સૌથી પહેલા એમાં નિર્ણય લેવાયો કે જે ક્રૂર હત્યારા છે, તેઓ દેશ છોડીને ન ભાગી શકે.
“22 મેના રોજ IB પાસે એક ગુપ્તચરની માહિતી આવી, જેમાં ઢાંચીગામ વિસ્તારમાં ની હાજરીની જાણકારી મળી. મે થી 22 જુલાઈ સુધી આ માહિતીની પુષ્ટિ કરવા સતત પ્રયાસો કરવામાં આવ્યા.”
તેમણે ઑપરેશન વિશે વધુમાં જાણકારી આપતાં કહ્યું કે “કુલ મળીને ગઈકાલે જે ઑપરેશન થયું તેમાં અમારા નિર્દોષ લોકોને મારનાર ત્રણેય આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા.”
“આ તો માત્ર આશંકા હતી કે તેમણે ઘટના અંજામ આપી, પરંતુ NIAએ પહેલાથી જ તેમને આશરો આપનારાઓને, ખોરાક પહોંચાડનારાઓને પકડી લીધા હતા.”
“અમે કોઈ ઉતાવળ નથી કરી. અમે આતંકી ઘટનાસ્થળેથી જે કારતૂસ મળ્યા તેનો FSL રિપોર્ટ પહેલેથી તૈયાર રાખ્યો હતો. ગઈકાલે જ્યારે આ ત્રણ આતંકવાદી માર્યા ગયા, તેમની ત્રણ રાઇફલો મળી, જે કારતૂસ મળ્યા તે આ રાઇફલોના જ હતા.”
(વિપક્ષના હોબાળા બાદ) “હું તો અપેક્ષા રાખતો હતો કે જ્યારે આ માહિતી સાંભળશો ત્યારે પક્ષ-વિપક્ષમાં આનંદની લહેર દોડશે, પણ તેમના ચહેરા પર તો નિરાશા છવાઈ ગઈ. આતંકવાદી માર્યા ગયા, તમને તેનો પણ આનંદ નથી. તમે આતંકવાદીઓનો ધર્મ જોઈને દુઃખી ન થાઓ.”
“1055 લોકો પાસેથી 3000 કલાકથી વધુ સમયની પૂછપરછ કરવામાં આવી. તેના આધારે સ્કેચ તૈયાર કરવામાં આવ્યો.”
“શોધખોળ દરમિયાન એ બે લોકોની ઓળખ થઈ, જેમણે આતંકવાદીઓને રહેવાની જગ્યા આપી હતી. તેમને ધરપકડ કરવામાં આવી છે. તેઓ હાલમાં કસ્ટડીમાં છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
[ad_2]
Source link










