[ad_1]
ઇમેજ સ્રોત, Getty Images
જાણીતા બ્રિટિશ-ભારતીય અર્થશાસ્ત્રી અને હાઉસ ઑફ લૉર્ડ્સના સભ્ય લૉર્ડ મેઘનાદ દેસાઈનું 85 વર્ષની ઉંમરે નિધન થયું છે.
લંડનમાં તેમના પરિવારના નિકટના સૂત્રોએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે આરોગ્યને લગતા કારણોથી ગુરુગ્રામની એક હૉસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લૉર્ડ દેસાઈને શ્રદ્ધાંજલિ આપી છે. વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, “પ્રતિષ્ઠિત વિચારક, લેખક અને અર્થશાસ્ત્રી મેઘનાદ દેસાઈજીના નિધનથી વ્યથિત છું.”
તેમણે કહ્યું કે “તેઓ હંમેશાં ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહ્યા. તેમણે ભારત-બ્રિટનના સંબંધોને મજબૂત બનાવવામાં ભૂમિકા ભજવી. અમારી ચર્ચાઓને હંમેશાં યાદ રાખીશ, જેમાં તેમણે પોતાના બહુમૂલ્ય વિચારો રજૂ કર્યા હતા. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
લૉર્ડ મેઘનાદ દેસાઈનો જન્મ ગુજરાતમાં થયો હતો. તેમણે ભારત અને બ્રિટન વચ્ચે સંબંધોને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે.
પદ્મશ્રીથી સન્માનિત મેઘનાદ દેસાઈ 1965થી 2003 સુધી લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં અર્થશાસ્ત્ર ભણાવતા હતા. 1971માં તેઓ લેબર પાર્ટીમાં જોડાયા અને જૂન 1991માં હાઉસ ઑફ લૉર્ડ્સમાં ગયા.
ત્યાં તેમના સાથી રામી રેન્જરે તેમને સમુદાયના એક સ્થંભ તરીકે ઓળખાવ્યા. દેસાઈએ સંસદ ભવનમાં ગાંધી સ્મારક પ્રતિમા સહિત કેટલાંય કામોમાં મહત્ત્વનું યોગદાન આપ્યું.
રશિયામાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ : અમેરિકા, જાપાન અને રશિયામાં સુનામીની ચેતવણી
ઇમેજ સ્રોત, Getty Images
રશિયાના પૂર્વ કિનારે મંગળવારે 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, તેના કારણે પ્રશાંત મહાસાગરમાં સુનામી આવવાની ચેતવણી આપવામાં આવી છે.
યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ)એ જણાવ્યું કે કમચટકા પ્રાયદ્વિપમાં પેટ્રોપાવલોવ્સ્કથી લગભગ 136 કિલોમીટર પૂર્વમાં 19 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્ર હતું.
સ્થાનિક ગવર્નરે આ ભૂકંપને તાજેતરના દાયકાઓમાં આવેલો સૌથી શક્તિશાળી ભૂકંપ ગણાવ્યો છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી આવ્યા.
યુએસજીએસનું કહેવું છે કે આગામી ત્રણ કલાકમાં રશિયા અને જાપાનના સમુદ્રકિનારે ખતરનાક સુનામીની લહેરો પહોંચી શકે છે. અમેરિકન અધિકારીઓએ અલાસ્કા સહિત અનેક ક્ષેત્રો માટે સુનામીની ચેતવણી જારી કરી છે.
જાપાનની હવામાન એજન્સીએ પણ પ્રશાંત સમુદ્રના કિનારે લગભગ 3.3 ફૂટ ઊંચી સુનામીની લહેરો ઉઠવાની ચેતવણી આપી છે. શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 8.0 હોવાનું જણાવાયું હતું, પરંતુ પછી તેને સુધારીને 8.8 કરવામાં આવી હતી.
યુએસજીએસએ જોખમી વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને સરકારનાં સૂચનોનું પાલન કરવાની સલાહ આપી છે.
પેલેસ્ટાઈનને બ્રિટન માન્યતા આપશે, પરંતુ કેટલીક શરતો રાખી

બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે કહ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં યુએનની જનરલ એસેમ્બલીની બેઠકમાં તેઓ પેલેસ્ટાઈનને એક દેશ તરીકે માન્યતા આપશે, પરંતુ આના માટે કેટલીક શરતો રાખી છે.
સ્ટાર્મરે કૅબિનેટ નોટની માહિતી આપતા કહ્યું કે “ઇઝરાયલ સરકાર ગાઝામાં ભયાનક સ્થિતિને ખતમ કરવા માટે નક્કર પગલાં નહીં લે, યુદ્ધ વિરામની જાહેરાત નહીં કરે, ગાઝાના પશ્ચિમી કિનારે તેનો કોઈ કબજો નથી તે સ્પષ્ટ નહીં કરે અને લાંબા સમયની શાંતિ પ્રક્રિયા માટે પ્રતિબદ્ધ નહીં થાય” તો બ્રિટન પેલેસ્ટાઈનને માન્યતા આપશે.
તેમણે કહ્યું કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે કોઈ સમાનતા નથી. બ્રિટનની હમાસ પાસે સ્પષ્ટ માંગણી છે કે તમામ બંધકોને મુક્ત કરવા પડશે, યુદ્ધવિરામ પર હસ્તાક્ષર કરવા પડશે અને ગાઝાની સરકારમાં તે કોઈ ભૂમિકા નહીં ભજવે તથા હથિયારો છોડવા પડશે.
વડા પ્રધાન સ્ટાર્મરે જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અગાઉ એ સુનિશ્ચિત કરવામાં આવશે કે કોઈ પક્ષ પાસે વિટોનો અધિકાર ન હોય. તેથી બંને પક્ષોએ કેટલી હદે શરતો પૂરી કરવામાં આવી છે તેનું આકલન કરવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
[ad_2]
Source link







